Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પાક વીમામાં ઓછા પ્રીમિયમે મળશે તત્કાલ વળતર

ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને વધુ સરળ અને પ્રભાવી બનાવવા તૈયારીઃ છેલ્લા ૨ વર્ષમાં વીમા કંપનીઓને મળ્યું રૂ. ૫૩૯૫૫ કરોડનું પ્રીમિયમઃ વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવ્યા રૂ. ૩૪૭૨૭ કરોડ

નવી દિલ્હી, તા. ૧૨ :. ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને વધારે સરળ અને પ્રભાવશાળી બનાવવા માટે કૃષિ મંત્રાલય મોટા સુધારાઓ કરવાની તૈયારીમાં છે. નવા નિયમો હેઠળ ખેડૂતોના પ્રીમિયમની રકમ ઘટાડવાની સાથે જ દેખરેખ, તાત્કાલિક વળતર અને ઘર બેઠા વીમો ઉતારવા સહિત ઘણા પગલા લેવામાં આવશે. મંત્રાલય આ યોજનાના પાલન માટે નિગમની રચના કરવા બાબત પણ વિચારી રહ્યુ છે. કૃષિ મંત્રાલય યોજના હેઠળ કેટલાક વિસ્તારો માટે પૂલ વિમાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવાની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. આ વ્યવસ્થા એવા વિસ્તારો માટે હશે જ્યાં એક પ્રકારનો પાક થતો હશે અને ત્યાં આખા વિસ્તારનો વિમો થશે. આના લીધે પ્રીમિયમ ઓછું આવશે અને રિસ્ક કવર વધારે હશે. આ પ્રકારનો વિકલ્પ સ્પેન અને તુર્કીમાં છે જેના પર મંત્રાલયના અધિકારીઓ વિશ્વ બેંકની ટીમ સાથે વિચારણા કરી રહ્યા છે. મંત્રાલયના એક અધિકારી અનુસાર વધારેને વધારે ખેડૂતોને આ યોજના સાથે જોડવા માટે નવા નિયમો બનાવાઈ રહ્યા છે. હાલમાં રવિ અને ખરીફ પાક માટેનું પ્રીમિયમ ખેડૂતોના ભાગે દોઢથી બે ટકા આવે છે.

ગયા વર્ષે મંત્રાલયે ખેડૂતોના દાવાઓ નિપટાવવા માટે બે મહિનાની મુદત નક્કી કરી હતી. તેના એક મહિના પછી વીમા કંપનીઓ અને રાજ્યોને વળતર સાથે દંડ તરીકે ૧૨ ટકા વ્યાજ આપવું પડશે. સાથે જ યોજનાના પ્રચાર અને તે અંગેની જાગૃતિ માટે વીમા કંપનીઓએ કુલ પ્રીમિયમના ૦.૫ ટકાનો ખર્ચ કરવો ફરજીયાત બનાવાયો હતો.

અધિકારી અનુસાર યોજના માટે એક નિગમની રચના કરીને તેનુ સચોટ પાલન કરાવવાની વ્યવસ્થા થશે, જે કેન્દ્રીય, રાજ્ય અને જીલ્લા સ્તરે કામ કરશે. આ નિગમનું મુખ્ય કામ ખેડૂતોને વળતરની રકમ તાત્કાલિક અથવા બને તેટલું જલ્દી અપાવવાનું રહેશે. તે વીમા કંપની અથવા રાજ્ય દ્વારા વળતર આપવામાં આનાકાની જેવી પરિસ્થિતિમાં ખેડૂતોનો બચાવ કરશે. સાથે જ જરૂર પડયે નિયમોમાં ફેરફાર પણ કરશે. તેને દંડ કરવાનો અધિકાર પણ મળશે જેથી આ યોજનાને વધારે પ્રભાવશાળી બનાવી શકાય.

જે ખેડૂત સતત પાક વીમા કરાવશે. તેમના પ્રીમિયમમાં છુટ એટલે કે પ્રીમિયમને ઘટાડવાનું મોડલ તૈયાર કરાઈ રહ્યુ છે. છેલ્લા બે વર્ષોમાં રાજ્યોમાંથી મળેલ રીપોર્ટથી જાણ વા મળ્યુ છે કે વળતર ચુકવવામાં બહુ વાર લાગે છે. ૨૦૧૬-૧૭ના વર્ષના રાજ્ય અને કેન્દ્ર સરકારે ૨૨૩૪૫ કરોડનું પ્રીમિયમ ચુકવ્યુ હતું, જ્યારે તે સમયગાળામાં ખેડૂતોને ૧૬૧૯૫ કરોડનું વળતર ચુકવાયુ હતુ. ૨૦૧૭-૧૮માં પણ ૨૬૬૧૦ કરોડના પ્રીમિયમ સામે ૧૮૫૩૨ કરોડ વળતર રૂપે ચુકવાયા હતા. આજ સમયગાળામાં ખેડૂતો દ્વારા ૫૦૦૦ કરોડનું પ્રીમિયમ ચૂકવાયુ હતુ.(૨-૩)

(12:46 pm IST)