Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયો

રાજ્યની તિજોરી ઉપર ૧૦૦૦ કરોડનો બોજ : લોકસભા ચૂંટણી પહેલા યોગી સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય : પુરતા ખાતરની ખાતરી પણ કરવામાં આવી

નવી દિલ્હી, તા. ૧૧ : કૃષિ સેક્ટરને મોટી રાહત આપીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે યુરિયાની કિંમતમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો કરી દીધો છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશના ખેડૂતોને આના કારણે મોટી રાહત થઇ શકે છે. રાજ્યની તિજોરી ઉપર આના પરિણામ સ્વરુપે ૧૦૦૦ કરોડનો બોજ પડનાર છે. રાજ્યમાં યુરિયાની કિંમતો અન્ય રાજ્યોની સરખામણીમાં ખુબ ઉંચી છે. નેચરલ ગેસ ઉપર વધારાના વેટના પરિણામ સ્વરુપે યુરિયાની કિંમત રાજ્યમાં વધારે છે. લાંબા ગાળાથી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાનમાં લઇને આદિત્યનાથ સરકારે કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોની જેમ જ યુરિયાની કિંમતને ઓછી રાખવા માટે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. હવે ૨૯૯ રૂપિયાની કિંમતમાં જે યુરિયા ૪૫ કિલોની બેગમાં મળે છે તે ૨૬૬.૫૦ રૂપિયામાં મળશે જ્યારે ૫૦ કિલોની યુરિયાની બોરી ૩૩૦.૫૦ રૂપિયામાં મળતી હતી જેના બદલે હવે ૨૯૯ રૂપિયામાં ઉપલબ્ધ બનશે. નવા રેટ આવતીકાલે શનિવારથી અમલી કરી દેવામાં આવનાર છે. રાજ્યસરકારના પ્રવક્તાએ કહ્યું છે કે, આ હિલચાલનો હેતુ વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાની રુપરેખા તરીકે ગણવામાં આવે છે. અગાઉ નેચરલ ગેસને ધ્યાનમાં લઇને વેટના ત્રણ સ્લેબ રાખવામાં આવ્યા હતા અને ૨૬ ટકા ટેક્સ હતો જેમાં વધારાના લેવીનો સમાવેશ થાય છે. હવે નેચરલ ગેસ ઉપર ટેક્સ ૨૧ ટકાથી ઘટાડીને ૧૪.૫ ટકા કરી દેવામાં આવ્યો છે અને પાંચ ટકાના વધારાના વેટને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. વેટમાં ઘટાડાના પરિણામ સ્વરુપે રાજ્યની તિજોરી ઉપર પ્રતિવાર્ષિક ૧૦૦૦ કરોડ રૂપિયાનો બોજ આવશે. હાલમાં જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બંનેલી કોંગ્રેસની સરકારે અનેક પ્રકારના પગલા લીધા છે પરંતુ અહીં યુરિયાની તીવ્ર કટોકટી પ્રવર્તી રહી છે. રવિ વાવણી સિઝનની શરૂઆત થઇ રહી છે. આવી સ્થિતિમાં જુદા જુદા રાજ્યોમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો દ્વારા ખાતરની અછતને લઇને હોબાળો મચાવી રહ્યા છે. સોમવારના દિવસે ઉત્તરપ્રદેશના કૃષિ મંત્રી સૂર્યપ્રતાપ શાહીએ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ખાતર કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને યુરિયા તથા જમીનના અન્ય પોષક તત્વોના પુરતા પુરવઠાની ખાતરી કરવા વાતચીત કરવામાં આવી હતી. શાહીએ દાવો કર્યો હતો કે, તમામ કેમિકલ ફર્ટીલાઇઝર્સને પુરતો જથ્થો ઉપલબ્ધ છે જેમાં યુરિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાસનો સમાવેશ થાય છે. કોઇપણ પ્રકારની અછત નથી. રાજ્ય સરકાર ખેડૂતોને ખાતરનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. રાજ્યમાં કો-ઓપરેટિવ સંસ્થાઓ મારફતે ખાતરનો જથ્થો અપાશે.

યુપીમાં ૭૫૭૦૦૦ ટન યુરિયાનો જથ્થો અપાશે

એજન્સીઓ પાસે જંગી જથ્થો છે

નવીદિલ્હી, તા. ૧૧ : ઉત્તરપ્રદેશમાં ૨૦૧૯ જાન્યુઆરીના અંત સુધી રાજ્ય સરકાર ઉત્તરપ્રદેશમાં ૭૫૭૦૦૦ ટન યુરિયા સપ્લાય કરવાની યોજના ધરાવે છે. હાલમાં રાજ્યની સંસ્થાઓ પાસે ૫૮૪૦૦૦ ટન યુરિયાનો જથ્થો ઉપલબ્દ છે. જ્યારે ૨૬૮૦૦૦ ટન ડીએપી અને ૧૨૪૦૦૦ ટન એનકેપીનો જથ્થો રહેલો છે. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે સરકાર કોઇપણરીતે ખેડૂતોને નારાજ કરવા માટે તૈયાર નથી. આજ કારણસર ખેડૂતોના હિતમાં એક પછી એક નિર્ણય લેવાઈ રહ્યા છે.

(7:25 pm IST)