Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મિશન ૨૦૧૯ : મોદી વધુ મોટા નિર્ણય લેવાના મૂડમાં

આવકવેરા મુકિત મર્યાદા વધારી દેવા તૈયારી : ખેડૂતોને સીધા ફાયદા આપવા જેવા ઘણા પ્રસ્તાવ લવાશે

નવી દિલ્હી,તા. ૧૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચૂંટણી વર્ષમાં વધુ કેટલાક મોટા નિર્ણય લેવાના મુડમાં દેખાઇ રહી છે. જેના ભાગરૂપે સામાન્ય લોકો અને ખેડુતોને વધારે રાહત આપવામાં આવનાર છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવા, ખેડુતોને સીધા લાભ આપવા જેવા કેટલાક પગલા લેવામાં આવનાર છે. મોદી સરકાર ચૂંટણી વર્ષમાં ક્યાં મોટા પગલા લેશે તેને લઇને સામાન્ય વર્ગમાં ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર ગરીબ સવર્ણોને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવા માટેનો નિર્ણય કરી ચુકી છે. હવે અન્ય મોટા નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે. કેટલાક અન્ય મોટા નિર્ણયને પણ અમલી કરવા માટે તૈયાર છે. ચૂંટણી પરિણામ તેમની તરફેણમાં કરી શકે તેવા મોટા નિર્ણય લેવાની તૈયારી ચાલી રહી છે. ટુંકમાં આની જાહેરાત કરવામાં આવનાર છે.

આવકવેરા મુક્તિ મર્યાદામાં મોટી રાહત, ખેડુતોના ખાતામાં સીધી મોટી રકમ નાંખવા, મધ્યમ વર્ગના લોકો માટે સસ્તા આવાસ લેવાના મામલે લોન અને જીએસટીમાં મોટા ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી પહેલા ભાજપે આવકવેરામાં મોટી રાહત આપવાની વાત કરી હતી. આ દિશામાં હવે સરકાર આગળ વધીને મોટા નિર્ણય કરી શકે છે. સરકાર જીએસટીમાં સતત મોટા ફેરફારો કરી રહી છે. આ ફેરફાર કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહત આપવામાં આવી રહી છે. ગુરૂવારના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય કરવામાં આવ્યા હતા. મધ્યમ વર્ગને રાહત આપવાના મુદ્દા પર પણ સરકાર વિચારણા કરી રહી છે. ઘરની લોનને સસ્તી કરવા માટે સરકાર વિચારી રહી છે. આના માટે નાણાંપ્રધાન વારંવાર રીઝર્વ બેંક પર દબાણ લાવી રહ્યા છે. સરકાર લોકસભાની ચૂંટણી પહેલા મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. રાજ્યસભામાં પાસ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ સરકાર ફરીથી ત્રિપલ તલાકના મામલે વટહુકમ લાવનાર છે. આ માહિતી સંસદીય બાબતોના કાર્ય પ્રધાન વિજય ગોયલે આ મુજબની માહિતી આપી છે.

અત્રે નોંધનીય છે કે નાના કારોબારીઓને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે ગઇકાલે ગુરૂવારના દિવસે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે ૪૦ લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. પહેલા આ મર્યાદા ૨૦ લાખ રૂપિયાની હતી. આવી જ રીતે જીએસટી કાઉન્સિલે પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશન માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી બે ગણી કરીને ૨૦ લાખ કરી દીધી હતી.  પહેલા ૨૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ મળી ગઈ હતી. હવે ઉત્તરપૂર્વીય અને પહાડી રાજ્યો માટે છુટછાટની મર્યાદા ૧૦ લાખ રૂપિયા હતી પરંતુ નાના રાજ્યોએ પોતાના કાયદા બનાવી લીધા છેઅને આ મર્યાદા ૨૦ લાખ રૂપિયા કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા  ઉત્તર પૂર્વીય અને પહાડી રાજ્યો માટે ૨૦ લાખ રૂપિયાના ટર્નઓવરવાળી કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી.  ઉત્તરપૂર્વીય અને પહાડી રાજ્યોને આ લિમિટને વધારવા અને ઘટાડવાની મંજુરી આપવામાં આવી હતી. કાઉન્સિલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ, કમ્પોઝિશન સ્કીમ અને કેરળ હોનારત માટે સેસ લાગૂ કરવા સહિત અનેક પગલા લેવામાં આવ્યા હતા.

(4:13 pm IST)