Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

અરુશા – ટાન્ઝાનિયામાં ઉલ્લાસભેર ઊજવાયો શાકોત્સવ...

શ્રી સ્વામિનારાયણ ભગવાને આ ધરા પર પ્રગટ થઇ હળાહળ કળીકાળમાં નૂતન સત્યુગની સ્થાપના કરી, માનવીઓના મનમાં વહેતા રાજસ વાતાવરણને દૂર કરી વિશુદ્ધ દિવ્ય ઉત્સવોના આનંદ ભરી દીધા. જ્યાં પ્રાણ અને આત્માની ઊર્ધ્વગતિ થાય તેનું નામ ઉત્સવ. આવો જ ઉત્સવ ઊજવાયોલોયા ગામમાં સુરા ભક્તના ભક્તિભાવ અને સમર્પણથી. એ ઉત્સવ એટલે દિવ્ય શાકોત્સવ. આ શાકોત્સવની પરંપરા આજ પર્યંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જળવાઈ રહી છે.

શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ઉત્સવ છે, કારણકે આ ઉત્સવમાં સુરાબાપુ અને શાંતાબાનું સમર્પણ સમાયેલું છે. ઈતિહાસ કહે છે કે સંવત ૧૮૭૭માં શ્રીજીમહારાજે સતત ૨ મહિના સુધી લોયામાં રહી ...શાકોત્સવનો મહા ઉત્સવ કરેલો. ૬૦ મણ રીંગણાનો ૧૮ મણ ઘીમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે વઘાર કરીને હજ્જારો સંતો-ભક્તોને જમાડેલા.

ઇસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાન્ઝાનિયા દેશ છે. આ દેશમાં અરુશા શહેર આવેલું છે, જે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર  શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે.

યુગવિભૂતિ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના વારસદાર  શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ટાન્ઝાનિયાના દારેસલામમાં પાવનકારી વિચરણ કરી હવાઈજહાજ દ્વારા અરુશા પધારતાં હરિભક્તોએ પરમ ઉમળકાભેર બાપાનું માલ્યાર્પણ કરી સ્વાગત કર્યું હતું.  અરુશા શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દિવ્ય સાન્નિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે રીંગણાના શાકનો ઘીમાં વઘાર કર્યો હતો. ભગવાનને રીંગણાનું શાક, રોટલા, વિધ વિધ પકવાન ધરાવવામાં આવ્યું હતું. સંતો ભક્તોએ આ અવસરે શાકોત્સવ પ્રસંગ, ઓચ્છવ વગેરે કર્યું હતું. અંતે સહુએ શ્રીજીપ્રભુનો પરમ પ્રસાદ પરમોલ્લાસભેર માણી યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.

 

 

(1:02 pm IST)