News of Friday, 11th January 2019
ઇસ્લામાબાદ તા. ૧૧ : પાક પીએમ ઇમરાન ખાને તાજેતરમાં જ કહ્યું હતું કે ભારતમાં સામાન્ય ચૂંટણી થવાની છે. આથી લોકોને પાકિસ્તાન વિરૂદ્ઘ ભડકાવામાં આવી રહ્યાં છે. તેમણે એમ પણ આરોપ મૂકયો કે ભારત દ્વિપક્ષીય વાર્તાથી ભાગી રહ્યું છે. જેને ભારતે હળહળતું જુઠ્ઠાણું ગણાવ્યું છે.
ભારતીય સરકારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના એ નિવેદન પર પ્રહારો કર્યા છે, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે બંને દેશોની વચ્ચે સંબંધોને બ્લોક કરી દીધા છે. ભારત સરકારે પાકિસ્તાનના પીએમ પર પ્રહારો કરતાં કહ્યું છે કે ઇસ્લામાબાદે વાતચીત માટે અનુકૂળ માહોલ બનાવા માટે કોઇ પગલાં ઉઠાવ્યા નથી.
ટોચના સત્તાવાર સૂત્રોએ અગ્રણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ઇસ્લામાબાદે દાવો કર્યો હતો કે આતંકવાદની વિરૂદ્ઘ કાર્યવાહી થઇ રહી છે, તેમ છતાંય તેમના આ મોર્ચા પર આંદલોનના કોઇ સંકેત નહોતા. તેમણે જોર આપી કહ્યું કે તેનાથી ઉંધુ ખાન (ઇમરાન)ના રહેતા પાકિસ્તાનની કાર્યવાહીઓ પરથી ખબર પડે છે કે ઇસ્લામાબાદ માત્ર આતંકવાદીઓને સમર્થન જ આપી રહ્યું નથી, પરંતુ આતંકવાદી ગ્રૂપને મુખ્યધારામાં લાવવાની કોશિષ કરી રહ્યાં હતા. ભારત સરકારે એ પાંચ મુદ્દા અંગે પણ જણાવ્યું, જેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાન આતંકવાદને રોકવા માંગતું નથી.... પરંતુ પોષવા માંગ છે...
સૌપ્રથમ તો પાકિસ્તાનના ગૃહ રાજય મંત્રી શહીર અફરીદીએ ૧૬-૧૭ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ઇસ્લામાબાદમાં જેયુડી નેતા અને સંયુકત રાષ્ટ્ર દ્વારા વર્જીત આતંકવાદી હાફિઝ સઇદના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને કહ્યું કે સઇદ અને તેના સંગઠનને પાકિસ્તાન સરકારનું 'ખુલ્લું સમર્થન' મળ્યું છે. રિપોર્ટના મતે મંત્રીએ એમ પણ કહ્યું કે કોઇ પણ સઇદને ત્યાં સુધી નિશાન બનાવી શકશે નહીં જયાં સુધી પીટીઆઈ પાર્ટી સત્તામાં છે.
બીજું જેયુડીએ નવેમ્બર ૨૦૧૮માં પીઓકે (POK)માં બચાવ કેન્દ્ર ખોલ્યા, જેનું ઉદ્ઘાટન એક સ્થાનિક પીટીઆઈ નેતાએ કર્યું હતું. ભારતીય અધિકારીઓના મતે આ જેયુડી માટે ખુલ્લું સમર્થન દેખાડે છે, જે UNSC પ્રતિબંધની યાદીમાં છે.
ત્રીજું જેયુડી અને તેની એનજીઓ ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન (FIF) પ્રતિબંધિત સંગઠનોની યાદીમાંથી ત્યારે બહાર ગયું જયારે રાષ્ટ્રપતિ પદના એ અધ્યાદેશની સમય મર્યાદા ખત્મ થઇ ગઇ, જેમાં તેમણે પ્રતિબંધિત સંગઠનોમાં સામેલ કર્યા હતા. આ વાત એ સમયે સાબિત થઇ જયારે પાકિસ્તાનની સરકારે ઇસ્લામાબાદ સુપ્રીમ કોર્ટમાં એ માન્યું કે અધ્યાદેશ ખત્મ થઇ ગયો છે અને ના તો વધાર્યો છે અને ના તો કાયદાકીય રૂપ આપવા માટે સરકારની તરફથી સંસદમાં રજૂ કરાયો. સઇદે કોર્ટમાં જેયુડી અને એફઆઇએફ પર પ્રતિબંધ મૂકતા અધ્યાદેશને પડકાર્યો હતો.
ચોથું પ્રતિબંધિત આતંદવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના નેતા અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ (યુજેસી)ના અધ્યક્ષ સઇદ સલાહુદ્દીને ઓકટોબર, ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ માટે પાકિસ્તાન પાસે સૈન્ય સમર્થન માંગ્યું. આ મુઝફફરબાદમાં UJC દ્વારા જૈશ-એ-મોહમ્મદ અસગર, હિઝબ-ઇ-ઇસ્લામીના મસૂદ આમિર અને લશ્કરના ડો.મંજૂરની હાજરીમાં આયોજીત એક સંવાદદાતા સંમેલનમાં થયું હતું.
પાંચમું પાકિસ્તાનના ધાર્મીક મંત્રી નૂર-ઉલ-હક કાદરીએ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સઇદની સાથે જાહેરમાં એક મંચ શેર કર્યો હતો, જયાં બંને એ ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા. કાદરીના હવાલાથી કહ્યું હતું કે તેમણે ખાનના નિર્દેશ પર દફતર-એ-પાકિસ્તાન કાઉન્સિલ દ્વારા સંમેલનમાં ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે ખાને આ વર્ષે નવેમ્બરમાં ભારતીય પત્રકારોના એક ગ્રૂપને કહ્યું હતું કે પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ બહાર આતંકવાદ માટે થવા દેશે નહીં. જો કે ભારત સરકારના મતે પાકિસ્તાન દ્વારા ઉઠાવામાં આવેલા પગલાં માત્ર દેખાડો હતો.
આ મામલા સાથે જોડાયેલા એક પરિચિત અધિકારીનું માનીએ તો પાકિસ્તાનમાં JuD અને FIFને પ્રતિબંધિત કરાયા નથી. તેઓ માત્ર આંતરિક મંત્રાલયની NACTA (રાષ્ટ્રીય કાઉન્ટર ટેરરિઝમ ઓથોરિટી)ની વોચ લિસ્ટમાં છે. (૨૧.૮)