Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જુના મિત્રોનું ભાજપ સંપૂર્ણ સન્માન કરે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

તમિળનાડુમાં ગઠબંધન કરવાનો સ્પષ્ટ સંકેત : વાજપેયી દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલવા ભાજપ કટિબદ્ધ : વાજપેયીએ ગઠબંધન રાજનીતિ દર્શાવી

ચેન્નાઈ, તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે તમિળનાડુમાં ગઠબંધન માટેનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે, જુના મિત્રોને ભાજપ સંપૂર્ણપણે સન્માન આપે છે. મોદીએ લોકસભા ચૂંટણીની તૈયારી માટે કમરકસી લીધી છે. ૨૦૧૪ની સફળતાનું પુનરાવર્તન કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ પાર્ટીએ દક્ષિણ ભારતના રાજ્યો ઉપર નજર કેન્દ્રિત કરી દીધી છે. મોદીએ આજે એનડીએના પૂર્વ સાથીઓને ગઠબંધનમાં સામેલ થવા માટે સંકેત આપ્યો હતો. ભાજપના દિગ્ગજ નેતા રહી ચુકેલા અટલ બિહારી વાજપેયીના નામનો ઉલ્લેખ કરીને મોદીએ તમિળનાડુમાં રાજકીય પક્ષોની તરફ મિત્રતાના હાથ લંબાવ્યા હતા. ડીએમકે અને અન્નાદ્રમુક બંને કેન્દ્રમાં એનડીએનો હિસ્સો રહી ચુકી છે. તમિળનાડુ ભાજપ કાર્યકરો સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં મોદીએ ચર્ચા દરમિયાન જુના મિત્રોને સાથે લેવાનો સંકેત આપ્યો હતો. કાર્યકર્તાઓ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, રાજકીય પક્ષોના દરવાજા હંમેશા ખુલ્લા છે. તેમની પાર્ટી જુના મિત્રોનું સન્માન કરે છે. વાજપેયી સફળ ગઠબંધનની રાજનીતિની દિશા રજૂ કરી હતી. ચૂંટણી પહેલા સંભવિત મહાગઠબંધનના માર્ગને રોકવા માટે સાથી પક્ષોને એક સાથે કરવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે. તમિળનાડુમાં અન્નાદ્રમુક જયલલિતાના અવસાન બાદ ખેંચતાણમાં વ્યસ્ત છે. બીજી બાજુ કરૂણાનિધિના અવસાન બાદ ડીએમકે પણ દિશાહિન છે. આવી સ્થિતિમાં બે મોટી પ્રાદેશિક પાર્ટી સામે લોકસભાની ચૂંટણી ખુબ જ પડકારરુપ છે. મોદીએ કહ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલા અટલ બિહારી વાજપેયી સફળ ગઠબંધનની રાજનીતિને લઇને આવ્યા હતા. ભાજપે હંમેશા વાજપેયી દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલવાના પ્રયાસ કર્યા છે. રાજકીય મુદ્દા ઉપર વધારે  એક વિજય ગઠબંધન લોકોની સાથે મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ ઉપર પણ પ્હરા કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસની સૌથી મોટી આ સફળતા અર્થવ્યવસ્થાના મિસમેનેજમેન્ટ અને કૌભાંડો છે પરંતુ કોંગ્રેસે સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસના લોકો દશકોથી સંરક્ષણ ક્ષેત્રને પણ વચેટિયાઓ અને દલાલોના અડ્ડા બનાવી રહ્યા હતા. વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને પકડીને ભારત લાવવામાં આવ્યો છે. આ વચેટિયા પાસેથી કેટલીક નજીકની માહિતી ખુલી શકે છે. કોંગ્રેસ પાર્ટીના પરિવારના સભ્યોના તેના પાસે ખુબ નજીકના સંબંધ છે. સંરક્ષણ મામલા અંગે કેબિનેટ બેઠકના સમય અંગે પણ તેને માહિતી મળતી હતી.

(12:00 am IST)