Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

પીએમઓનું એકહથ્થુ શાસન અર્થતંત્ર માટે નુકસાનકારક : શિવસેના પણ રઘુરામ રાજનના અભિપ્રાય સાથે સહમત

અર્થતંત્રની હાલની સ્થિતિ માટે નેહરુ અને ઇન્દિરા ગાંધીને જવાબદાર ગણી ન શકાય

મુંબઈ : શિવસેનાના મુખપત્ર 'સામના'ના અંકના તંત્રીલેખમાં રાષ્ટ્રના નિર્ણયો લેવામાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ)નો એકહથ્થુ વહીવટ દેશના નબળા અર્થતંત્રનાં મુખ્ય કારણોમાંનો એક છે, પરંતુ વડા પ્રધાન મોદી પરિસ્થિતિને સુધારવા માટે કોઈ પગલાં લેતા નથી. કાંદાના ભાવ વધે તો નાણાપ્રધાન કહે છે કે 'હું કાંદા-લસણ ખાતી નથી, તમે પણ ન ખાઓ અને મને એ બાબતના સવાલ ન પૂછો.

   સામના'ના તંત્રીલેખમાં રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવતાં જણાવવામાં આવ્યું હતું કે 'બીજેપીના શાસકો અર્થશાસ્ત્રીઓને સાંભળવા ઇચ્છતા નથી. તેઓ અર્થતંત્રને શૅરબજારનો સટ્ટો સમજે છે. ભારતના વૃદ્ધિદરની ગતિ મંદ પડતાં અર્થતંત્ર અસ્વસ્થ થયું છે, કારણ કે બધી સત્તા પીએમઓમાં કેન્દ્રિત છે. પ્રધાનોના હાથમાં કોઈ સત્તા નથી.

  ગત જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાનો વૃદ્ધિદર છ વર્ષમાં સૌથી ઓછો ૪.૫ ટકા હતો. ફુગાવો વધવા સાથે માગ ઘટે તો મોટો ભય ઊભો રહે છે. દેશના અર્થતંત્રની હાલની સ્થિતિ માટે જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને જવાબદાર ગણી ન શકાય'

(12:35 pm IST)