Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પૂર્વ .કેન્દ્રીય ફાયનાન્સ સેક્રેટરી અને ફાયનાન્સ કમિશનના સભ્ય શશીકાંત દાસ બન્યા RBIનાં નવા ગવર્નર

નવીદિલ્હી,તા. ૧૧ : રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે આજે પૂર્વ ફાઈનાન્સ સેક્રેટરી શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવી હતી. આની સાથે જ આરબીઆઈના ગવર્નર કોણ બનશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. આરબીઆઈએ નવી નિમણૂંક કરી લીધી છે. શક્તિકાંત વિતેલા વર્ષોમાં જુદા જુદા હોદ્દા પર કામ કરી ચુક્યા છે. શક્તિકાંત દાસની નિમણૂંકને કેબિનેટની કમિટિએ લીલીઝંડી આપી દીધી છે. તેમની અવધિ ત્રણ વર્ષ માટેની રહેશે. શક્તિકાંત દાસ ભૂતપૂર્વ ઇકોનોમિક અફેયર્સ સેક્રેટરી તરીકે રહ્યા છે. ૨૦૧૫થી ૨૦૧૭ સુધી આ હોદ્દા ઉપર રહ્યા હતા. કેન્દ્રીય બેંકની સાથે ખુબ નજીકના અંતરથી કામ કર્યું છે. હાલમાં તેઓ ફાઈનાન્સ કમિશનમાં મેમ્બર તરીકે હતા. સાથે સાથે તેઓ જી-૨૦માં સરકારના પ્રતિનિધિ પણ રહી ચુક્યા છે. આરબીઆઈ અને સરકાર વચ્ચે હાલમાં અનેક મુદ્દે મતભેદની સ્થિતિ રહી છે. રિઝર્વ બેંકની મહત્વપૂર્મ બેઠક પહેલા જ ઉર્જિત પટેલે રાજીનામુ આપી દીધું હતું. શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે, આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે ગઇકાલે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તાત્કાલિક રીતે અમલી બને તે રીતે ઉર્જિત પટેલે રાજીનામું આપ્યું હતું. રિઝર્વ બેન્કની વેબસાઈટ ઉપર તેમના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુજબની વાત કરવામાં આવી હતી. વર્તમાન પોઝીશન પરથી તાત્કાલિક રીતે અમલી બને તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉર્જિત પટેલે આરબીઆઈના સ્ટાફ, ઓફિસરો અને મેનેજમેન્ટના કઠોર કામને સમર્થન આપ્યું હતું. તાજેતરના વર્ષોમાં બેન્કે અનેક ઉલ્લેખનિય સિદ્ધિઓ હાંસલ કરી છે. ત્રણ વર્ષની અવધિ માટે સપ્ટેમ્બર ૨૦૧૬માં આરબીઆઈના ૨૪માં ગવર્નર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની અવધિ ૨૦૧૯માં પુરી થઈ રહી હતી. ઉર્જિત પટેલ આરબીઆઈના ૨૪માં ગવર્નર તરીકે નિમાયા હતા પરંતુ સરકાર અને આરબીઆઈ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આખરે તેઓએ ગઇકાલે રાજીનામુ આપી દીધું હતું. ઉર્જિત પટેલની એકાએક બાદબાકીની અસર આજે બજારમાં શરૂઆતમાં જોવા મળી હતી અને બજારમાં કડાકો બોલી ગયો હતો. સ્વાયત્તાના મુદ્દા ઉપર મુખ્યરીતે લડાઈ ચાલી રહી હતી. શક્તિકાંત દાસ હાલમાં કેટલાક હોદ્દા ઉપર કામ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યા છે. આર્થિક બાબતોના સેક્રેટરી તરીકે તેઓ સેવા આપી ચુક્યા છે. રિઝર્વ બેંકના ૨૫માં ગવર્નર તરીકે તેઓએ જવાબદારી સંભાળી છે. પોતાની નિર્ધારિત અવધિથી પહેલા રાજીનામુ આપનાર ઉર્જિત પટેલ ૧૯૯૦ બાદ પ્રથમ ગવર્નર બન્યા હતા. અલબત્ત પોતાના નિર્ણય માટે ઉર્જિત પટેલે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા હતા પરંતુ એમ માનવામાં આવી રહ્યું હતું કે, સરકાર સાથે ખેંચતાણ ચાલી રહી હતી. જે નવા નામ ઉપર ચર્ચા ચાલી રહી હતી તેમાં ફાઈનાન્સિયલ સર્વિસના રાજીવકુમાર, આર્થિક બાબતોના એસસી ગર્ગ, આઈએમએફના કારોબારી ડિરેક્ટર સુબીર ગોકરનનો સમાવેશ થાય છે. આ તમામ નામ ઉપર ચર્ચા વચ્ચે સરકારે શક્તિકાંત દાસ ઉપર આજે પસંદગી ઉતારી હતી અને કેબિનેટે આને મંજુરી આપી હતી. ૧૯મી નવેમ્બરના દિવસે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. ૧૪મી ડિસેમ્બરના દિવસે પણ એક બોલાવાઈ હતી પરંતુ આ બેઠક પહેલા જ ઉર્જિત પટેલે રાજીનામુ આપી દીધું હતું. ઉર્જિત પટેલના ગાળા દરમિયાન ડિસેમ્બર ૨૦૧૮માં ડોલર સામે રૂપિયો ૭૧.૩ સુધી પહોંચ્યો હતો જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૬માં ડોલર સામે રૂપિયો ૬૬.૬ ઉપર હતો. આવી જ રીતે ઉર્જિત પટેલના ગાળા દરમિયાન વ્યાજદર ૬.૫૦ ટકા રહ્યો હતો.

ઉર્જિત પટેલના એકાએક રાજીનામા બાદ કોંગ્રેસ સહિતનામોટાભાગના રાજકીય પક્ષોના નેતાઓએ આને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. આર્થિક સંસ્થાઓ ઉપર અંકુશ મુકવાના પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અનઅપેક્ષિતરીતે ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યું હતું. નાણાંકીય વ્યવસ્થાને સ્વચ્છ કરવાના મામલામાં રિઝર્વ બેંકના કઠોર વલણ અને સ્વાયત્તાના મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે ખેંચતાણ સર્જાઈ હતી. ઉર્જિત પટેલે પીસીએને હળવા કરવાને લઇને સરકારની માંગને લઇને વાંધો ઉઠાવ્યો હતો. બોર્ડ બેઠકમાં ગયા સપ્તાહમાં નબળી બેંકો માટે પીસીએને હળવા કરવાની માંગ કરવામાં આવી હતી. અન્ય કેટલાક કારણો પૈકી એક કારણ એ પણ હતું કે સ્વાયત્તાનો મુદ્દો જોવા મળી રહ્યો હતો.

(7:38 pm IST)