Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બિહારમાં એનડીએ તેમજ મહાગઠબંધન વચ્ચે ટક્કર

અમિત શાહે નીતિશ કુમાર સાથે વાત કરી : ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી શકે છે, આરજેડીને નુકશાન છતાં મજબૂત લડત, કોંગ્રેસની પણ બેઠકો ઘટી

પટણા, તા. ૧૦ : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મત ગણતરી હજુ જારી છે ત્યારે પળેપળ નવા સમીકરણ જોવા મળી રહ્યા છે. જોકે, આવેલા પરિણામો અને બાકી પરિણામોના ટ્રેન્ડને જોતા એનડીએ ફરી સત્તા પર આવે તેવું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. જાહેર થયેલી મતોની ગણતરી વચ્ચે જે વલણો આવ્યા છે તેમાં એનડીએ સરકાર રચાઇ રહી હોવાનું લાગી રહ્યું છે. જો કે આશરે ૧૦ થી ૧૨ બેઠકો પર માત્ર ૫૦૦ થી ૧૦૦૦ મતોના તફાવતને કારણે બંને કેમ્પમાં હલચલ મચી છે. હજુ પણ મહાગઠબંધનને વિજયની આશા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ફોન પર વાતચીત કરી છે.

વળી, ભાજપ બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ સંજય જયસ્વાલ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી સીએમ નિવાસસ્થાને પહોંચ્યા છે. તમામ નેતાઓમાં પરિણામોના વલણની ચર્ચા થઈ રહી છે. આગળની રણનીતિ બનાવવામાં આવી રહી છે.

આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે અંતિમ પરિણામની રાહ જુઓ, ફક્ત મહાગઠબંધનની સરકાર બનાવવામાં આવશે. આરજેડીના સાંસદ મનોજ ઝાએ પણ કહ્યું હતું કે અંતિમ પરિણામની રાહ જોવી જોઇએ. મળતા છેલ્લા અહેવાલો મુજબ ભાજપે ૭૨, આરજેડી ૭૪, જેડીયુ ૪૩, કોંગ્રેસે ૨૧ અને અન્યોએ ૩૩ બેઠકો જીતી લીધી છે. ૨૪૩ બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે, ૧૨૨ બેઠકો આવશ્યક છે. વલણોમાં, એનડીએ બહુમતી સંખ્યાને વટાવે છે અને ક્યારેક એક-બે બેઠકથી પાછળ રહે છે જ્યારે મહાગઠબંધન છ-આઠ બેઠકોથી બહુમતીથી પાછળ રહ્યું હોઈ તેના માટે સત્તા બહુ મુશ્કેલ લાગી રહી છે.

(12:00 am IST)