Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શિવસેનાના નેતા સંજય રાવતની તબિયત બગડી

લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

મુંબઈ, તા. ૧૧ : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી છે ત્યારે રાજકીય ડ્રામાબાજી વચ્ચે શિવસેનાના નેતા સંજય રાવતની તબિયત આજે એકાએક ખરાબ થઇ હતી. કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવાના પ્રયાસ શિવસેનાએ તીવ્ર બનાવી દીધા છે ત્યારે રાવતને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સંજય રાવતને છાતીમાં એકાએક દુખાવો થયો હતો. હાલ તેઓ લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના તબીબ જલીલ પાર્કરે કહ્યું છે કે, રાવતે બે દિવસ પહેલા રુટિન ચેકઅપ કરાવ્યા હતા. ઇસીજી પણ કરવામાં આવ્યા હતા. અન્ય ટેસ્ટ માટે તબીબોએ આજે બોલાવ્યા હતા. તેમને આવતીકાલે રજા આપવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે મળીને મેદાનમાં ઉતર્યા હતા પરંતુ બહુમતિ મળી હોવા છતાં બંને પાર્ટીઓ વચ્ચે વિખવાદ ચરમસીમા પર પહોંચ્યા બાદ બંને પાર્ટીઓ એકબીજાથી દૂર થઇ છે. ભાજપ વગર શિવસેનાએ સરકાર બનાવવાનો સંકેત આપી દીધો છે. કોંગ્રેસ અને એનસીપીએ શિવસેનાને મદદ કરવાની ખાતરી આપી છે જેથી સરકાર રચનાનો માર્ગ મોકળો થયો છે.

(7:35 pm IST)