Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ભારતીય સેનાની ચેતવણી

પાકિસ્તાનના એજન્ટો નકલી સાધુ-સંતના સ્વાંગમાં ફરી રહ્યા છે

નવી દિલ્હી તા. ૧૧ :.. ભારતીય સેનાના જવાનોને જાસુસીની જાળમાં ફસાવવા માટે અત્યાર સુધી પાકિસ્તાન સુંદર મહિલાઓનો ઉપયોગ કરતું હતું. હવે પાકિસ્તાને નવો જ રસ્તો અખત્યાર કર્યો છે.

સેનાએ પોતાના જવાનોને નકલી સાધુ - સંતોથી સાવધ રહેવાની ચેતવણી આપી છે. સાધુ - સંતોના વેશમાં તે પાકિસ્તાની એજન્ટ પણ હોઇ શકે છે. એવું સેનાનું કહેવું છે.

એક અહેવાલમાં કહેવાયું છે કે પાકિસ્તનના જાસુસો સંવેદનશીલ જાણકારી મેળવવા માટે સાધુ-સંતનો વેશ ધારણ કરીને જવાનોને અને તેમના પરિવારને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. પાકિસ્તાનની કુખ્યાત જાસુસી સંસ્થા આઇએસઆઇ દ્વારા હવે આ નવો રસ્તો અપનાવાયો છે.

સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે પાકિસ્તાની જાસૂસો સૈનિકોને ફસાવવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સેનાએ આવા ૧પ૦ સોશ્યલ મીડિયા અકાઉન્ટની ઓળખ કરી છે. આ અકાઉન્ટ પાકિસ્તાની જાસૂસોના હોઇ શકે છે. સેનાએ પોતાના જવાનોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાની ચેતવણી આપી છે. પાકિસ્તાની એજન્ટો સેનાના ઉચ્ચ અધિકારીઓના મોબાઇલ-નંબર મેળવવા માટે પણ ધમપછાડા કરી રહ્યા છે.

(11:28 am IST)