Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

BSNL વીઆરએસ માટે ૨૨૦૦૦ કર્મી તૈયાર થયા

બે દિવસમાં જ હજારો કર્મચારીઓ તૈયાર થયા : ૧.૫૦ લાખના કુલ સંખ્યાબળની સામે એક લાખ જેટલા કર્મીઓ વીઆરએસ માટે પાત્ર છે : અહેવાલમાં ઘટસ્ફોટ

નવીદિલ્હી, તા. ૧૦ : ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના ૨૨૦૦૦થી પણ વધુ કર્મચારીઓ વીઆરએસ પ્લાન હેઠળ નિવૃત્તિ લેવા માટે તૈયાર થઇ ચુક્યા છે. આ સ્કીમની જાહેરાત કરવામાં આવ્યા બાદ બે દિવસની અંદર જ ૨૨૦૦૦થી વધુ કર્મચારીઓ નિવૃત્તિ લેવા તૈયાર થયા છે. કુલ સ્ટાફ પૈકી એક લાખથી પણ વધુ બીએસએનએલ કર્મીઓ વીઆરએસને પાત્ર રહેલા છે. ૧.૫૦ લાખનું કુલ સંખ્યાબળ રહેલું છે. આ સ્કીમ પાંચમી નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી ડિસેમ્બર સુધી આ સ્કીમ અમલી રહેનાર છે. વીઆરએસ પ્લાન માટે તૈયાર થઇ ચુકેલા કર્મચારીઓની સંખ્યા ૨૨૦૦૦થી વધુ થઇ ચુકી છે. બીએસએનએલની યોજના ૭૭૦૦૦ કર્મચારીઓની રહેલી છે. નામ જાહેર નહીં કરવાની શરતે બીએસએનએલના એક અધિકારીએ આજે આ અંગેની માહિતી આપી હતી. આ પૈકી ૧૩૦૦૦ કર્મચારીઓ ગ્રુપ સીના કેટેગરીમાં જોડાયેલા છે. જવાબ ખુબ સારો મળી રહ્યો છે.

                પગાર બિલમાં ૭૦૦૦ કરોડ રૂપિયા બચાવી લેવાની બીએસએનએલની યોજના છે. આના પરિણામ સ્વરુપે ૭૦૦૦૦થી લઇને ૮૦૦૦૦ કર્મચારીઓને વીઆરએસ હેઠળ છુટા કરવા માટેની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. બીએસએનએલની સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના અથવા તો વીઆરએસ યોજનાનો લાભ લેવા માટે ખુબ આકર્ષક ઓફર કરવામાં આવી છે. કોઇપણ લાયક કર્મચારી માટે વળતરની રકમ સર્વિસના દરેક પૂર્ણ કરવામાં આવેલા વર્ષ માટે ૩૫ દિવસના પગાર સમાન રહેશે જ્યારે બાકી રહી ગયેલી સેવાના દર વર્ષ માટે ૨૫ દિવસના પગાર તરીકે ચુકવણી કરવામાં આવનાર છે. મહાનગર નિગમ ટેલિફોન લિમિટેડ દ્વારા પણ તેના કર્મચારીઓ માટે વીઆરએસની યોજના તૈયાર કરી લીધી છે.

                   આ યોજના વીઆરએસના ગુજરાત મોડલ ઉપર આધારિત છે. આ સ્કીમ પણ કર્મચારીઓ માટે ત્રીજી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ખુલ્લી રહેશે. હાલમાં જ તેના કર્મચારીઓને એમટીએનએલ દ્વારા આપેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ૫૦ વર્ષ અને તેની ઉપરની વયના તમામ નિયમિત અને કાયમી કર્મચારીઓ આ સ્કીમનો લાભ લેવા માટે પાત્ર રહેશે. અત્રે નોંધનીય છે કે, ગયા મહિનામાં જ સરકારે બીએસએનએલ અને એમટીએનએલ માટે ૬૯૦૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. સાથે સાથે નુકસાન કરતા બે એકમોને મર્જ કરવાની પણ જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે આ પ્લાનને મંજુરી આપી હતી. એમટીએનએલ મુંબઈ અને નવી દિલ્હી વચ્ચે સેવા ઉપલબ્ધ કરાવે છે જ્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ દેશના અન્ય ભાગોમાં સેવા બજાવે છે. બચાવ પેકેજમાં ફોરજી સ્પેક્ટ્રમની ખરીદી માટે ૨૦૧૪૦ કરોડ રૂપિયા, સ્પેક્ટ્રમ ફાળવણી પર ચુકવવામાં આવનાર જીએસટી માટે ૩૬૭૪ કરોડ રૂપિયા, ડેબ્ટ પર ૧૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા કંપનીઓને રાહત આપવામાં આવનાર છે.

(8:34 am IST)