Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાજસ્થાનના અનાદરામાં વિચિત્ર અકસ્માત : રીક્ષા, બાઈક અને વીજથાંભલા સાથે અથડાઈ ટ્રેલર દુકાનમાં ઘુસી જતાં ચાર લોકોના કરૂણમોત : ૧૩ ઘાયલ

પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચ્યું : ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કાઢયા

ગુજરાતના બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના અનાદરા ગામમાં  બેકાબુ ટ્રેલર ચાલકે રિક્ષા, બાઇક અને વીજળીના થાંભલા સાથે ટ્રેલર અથડાવી દુકાનમાં ઘુસી જતા વિચિત્ર દુર્ઘટનામાં ૪ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે ૧૩ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

  રાજસ્થાનના મંડારથી અનાદરા તરફ જતા રોડ પરથી પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રેલર નંબર એચઆર-૬૯-સી-૩૬૧૬ ના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ટ્રેલર અનાદરા બસ સ્ટેન્ડ નજીક રોડની સાઇડમાં ઉભેલી જીપ નંબર આરજે-૨૪-ટીએ-૨૮૩૨, રિક્ષા નંબર આરજે-૨૪-પીએ-૧૯૬૩ તથા જીપ નંબર આરજે-૨૪-ટીએ-૨૭૮૮ ને અડફેટે લઇ વીજળીના થાંભલા સાથે અથડાઇ રોડ નજીક આવેલી દુકાનમાં ઘુસી ગયું હતું.

  બનાવની જાણ થતાં સિરોહીના પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણાએ તુરંત પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી જઈ જેસીબી મારફત ટ્રેલર નીચે દબાયેલા લોકોને બહાર કઢાવી ઇજાગ્રસ્તોને સિરોહીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં ૩ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુંહતું. જ્યારે બાળકો સહિત ૧૩ ને ગંભીર ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સિરોહી ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મૃતકોમાં હિમારામ સોમારામ ચૌધરી (રહે.અનાદરા), દિનેશ જીવારામ ગરાસિયા (રહે.ફતેહપુરા-આબુરોડ), ધર્મશીલા ઉર્ફે ધનીદેવી ગોવિંદભાઇ ચૌધરી (રહે.અનાદરા),દલપત ઉર્ફે દલારામ શંકરજી દેવીપૂજક (વેલાગરી-અનાદરા)નો સમાવેશ થયો છે 

(11:59 am IST)