Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

કાગળ બનાવાનો સફળ પ્રયોગઃ જયપુરમાં પ્લાન્ટ શરૂ

ખાદીગ્રામોઉદ્યોગ પંચ દ્વારા ગૌવંશના છાણમાંથી :સરકારની ખેડૂતો પાસેથી ૫ રૂા કિલો છાણ ખરીદ યોજના

મહાભારતમાં લખવામાં આવ્યું છે કે ગાયનાં છાણમાં લક્ષ્મીનો વાસ છે. જૂના જમાના માં જયારે ગેસ અથવા કેરોસીનની શોધ નહોતી થઇ ત્યારે ગામડાના લોકો રસોઇ માટે લાકડાં અને છાણોનો જ ઉપયોગ કરતા હતા. તેને કારણે રૂપિયાની બચત થતી હતી અને ઘરમાં લક્ષ્મીની વૃદ્ઘિ થતી હતી. ગાયનાં છાણમાંથી સોના જેવું ખાતર બનતું હતું, માટે પણ છાણમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવતો હતો. જૂના જમાનામાં લોકો ગારામાટીનો મકાનોમાં રહેતા હતા, તેમાં પણ મકાનને મજબૂતી આપવા માટે બાઇન્ડિંગ એજન્ટ તરીકે ગાયનાં છાણ તેમ જ ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે ઘણી ગૌશાળાઓ પંચગવ્યની દવાઓ વેચીને તગડી કમાણી કરતી જોવા મળે છે..

આજે શહેરોમાં અને ગામડાંઓમાં લાખોની સંખ્યામાં ગાયો રખડતી જોવા મળે છે, કારણ કે તેમની દૂધ આપવાની ક્ષમતા ખતમ થઇ ગઇ હોય છે, જે આખલાઓ ખેતીનો કામમાં ઉપયોગી નથી હોતા તેમને પણ રઝળતા મૂકી દેવામાં આવે છે, જો ગાયનાં છાણમાંથી કમાણી થતી હોય તો આ ગાયોને કોઇ રઝળતી મૂકે નહીં. તાજેતરમાં ખાદી ગ્રામોદ્યોગ પંચે ગોવંશના છાણ માંથી કાગળ બનાવવાનો સફળ પ્રયોગ કર્યો છે, ગાયનાં છાણમાં જે પદાર્થો હોય છે તેના સાત ટકાનો કાગળ બનાવવામાં ઉપયોગ થઇ શકે તેમ છે.  બાકીના ૯૩ ટકામાંથી વેજિટેબલ ડાઇ બની શકે છે.

જયપુરમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ પંચના પ્લાન્ટમાં ગોબરમાંથી કાગળ બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ પાછળ ૧૫ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. એક પ્લાન્ટ વડે એક મહિનામાં  કાગળની એક લાખ થેલીનું ઉત્પાદન કરી શકાય છે. તદુપરાંત ગોબરમાંથી ડાઇ પણ બનાવી શકાય છે. ખાદી  ગ્રામોદ્યોગ પંચની યોજના ભારતભરમાં કાગળના પ્લાન્ટ લગાડવાની છે, તે માટે કિસાનોને તેમજ પશુપાલકોને હળવા વ્યાજની લોન પણ આપવામાં આવશે.

દરેક ગાય અથવા બળદ નકામો બની ગયા હોય તો પણ રોજનું ૮થી ૧૦ કિલોગ્રામ ગોબર જરૂર આપે છે. સરકારની યોજના મુજબ તેઓ કિસાનો પાસેથી પાંચ રૂપિયે કિલોના ભાવે ગોબર ખરીદી લેશે. આ રીતે પશુદીઠ ૪૦થી ૫૦ રૂપિયાની આવક ઊભી થશે. ગામડાંમાં આટલી રકમમાં પશુનો સહેલાઇથી નિભાવ ઊભી થઇ જાય છે. જો દરેક ગૌશાળામાં અને પાંજરાપોળમાં કાગળના પ્લાન્ટ બેસાડવામાં આવે તો પૂરક આવક ઉભી  થાય અને દાન માટે વારંવાર સમાજ પાસે જવું પડે નહીં. જો ગોશાળાઓ અને પાંજરાપોળો પાંચ રૂપિયે કિલોના ભાવે ગૌબર ખરીદી લેતી હોય તો લોકો પશુઓને રખડતો મૂકવાને બદલે પાળવા લાગશે. તેથી રખડતો પશુની સમસ્યા પણ હલ થશે.

આલેખનઃ આદર્શ ભારત-નેટવર્ક

(3:45 pm IST)