Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કર્ણાટક કટોકટી વચ્ચે રાજ્ય કેબિનેટની મહત્વની મિટિંગ

તમામ પાસાઓ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ : ૧૬ ધારાસભ્યોના રાજીનામા બાદથી ઉભી થયેલી સ્થિતિ પર ચર્ચા : અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરવાની તૈયારી

બેંગ્લોર, તા. ૧૧ : કર્ણાટકમાં મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસ સામે કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે આ કટોકટી વચ્ચે આજે રાજ્ય કેબિનેટની બેઠક મળી હતી જેમાં પરિસ્થિતિનો સાહસથી સામનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંયુક્તરીતે સાથે રહેવાનો નિર્ણય પણ આમા કરવામાં આવ્યો હતો. શાસક ગઠબંધનના ૧૬ ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકાર હાલમાં મુશ્કેલીમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, અવિશ્વાસની દરખાસ્તનો સામનો કરવા માટે સરકાર તૈયાર છે. જો વિપક્ષી ભાજપ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવશે તો સરકાર આનો સામનો કરશે. રાજકીય ઘટનાક્રમનો દોર કર્ણાટકમાં જોરદારરીતે જારી રહ્યો છે. આ તમામ પાસાઓ ઉપર આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સરકાર કટોકટીની સ્થિતિમાં છે તેમાં કોઇ બેમત નથી પરંતુ જુદા જુદા કારણોસર વિવાદને ઉકેલવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગ્રામિણ વિકાસમંત્રી કૃષ્ણ ગૌડાએ કહ્યું હતું કે, તમામ પાસાઓ ઉપર આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ છે. કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગૌડાએ કહ્યં હતું કે, સરકારને અસ્થિર કરવાના છથી સાત પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. વારંવાર સરકાર ટકી જાય છે. આ વખતે પણ સરકાર વિશ્વાસમત જીતી જશે. ભાજપ દ્વારા સરકારને ગબડાવી દેવાના પ્રયાસ અવિરત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો ઉપયોગ કરીને આ પ્રયાસ થઇ રહ્યા છે. આજે કેબિનેટની બેઠકમાં પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ૧૬ કોંગ્રેસ-જેડીએસ ધારાસભ્યોના રાજીનામા બાદ ૧૩ મહિના જુની કુમારસ્વામી સરકાર પતનના આરે પહોંચી ચુકી છે. કેબિનેટે ધારાસભ્યોને મનાવવાના પ્રયાસ જારી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૌડાએ કહ્યું હતું કે, સરકારને બચાવવાના તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવશે. ૧૬ ધારાસભ્યો જે રાજીનામુ આપી ચુક્યા છે તે પૈકી ૧૩ કોંગ્રેસ અને ત્રણ જેડીએસના હોવાનું જાણવા મળ્યું છે. ગૃહમાં ગઠબંધનનું સંખ્યા બળ ૧૧૬ રહેલું છે જે પૈકી કોંગ્રેસના ૭૮, જેડીએસના ૩૭ અને બસપના એક સભ્ય છે.

સ્પીકર પણ અલગ છે જ્યારે બે અપક્ષોના ટેકા સાથે ભાજપ પાસે હવે ૨૨૪ સભ્યોના ગૃહમાં ૧૦૭ ધારાસભ્યો થયા છે. સોમવારના દિવસે મંત્રાલયમાંથી આ બે અપક્ષોએ રાજીનામા આપ્યા હતા. ૧૬ ધારાસભ્યોના રાજીનામાને જો સ્વીકારી લેવામાં આવશે તો ગઠબંધનનું સંખ્યા બળ ૧૦૦ થઇ જશે. જો સરકારને વિશ્વાસમત લેવા માટે કહેવામાં આવશે તો મુશ્કેલી થઇ શકે છે. ભાજપે મુખ્યમંત્રી કુમારસ્વામીના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે, તેમની સરકાર બહુમતિ ગુમાવી ચુકી છે. રાજ્ય ભાજપના વડા યેદીયુરપ્પાએ આ સંદર્ભમાં સ્થિતિ ઉપર નજર રાખવા સૂચના આપી છે. આવતીકાલથી વિધાનસભાનું સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે ફાઈનાન્સ બિલના ભાવિ અંગે રાહ જોવાની જરૂર છે.

(7:36 pm IST)