Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઉત્તરપ્રદેશ : કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવા પ્રિયંકા ઇચ્છુક

કારમી હાર થયા બાદ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકાશે : અત્યારથી ર૦રર વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં કોંગ્રેસ : સંગઠનથી લઇ પાર્ટી અધ્યક્ષ સુધી ફેરફાર કરાશે

લખનૌ,તા. ૧૧: ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પાર્ટી હચમચી ઉઠી છે. હાલમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ઉત્તરપ્રદેશમાં ૮૦ પૈકી માત્ર એક સીટ મળી હતી. જ્યારે દેશમાં ૫૪૩ સીટો પૈકી માત્ર બાવન સીટો મળ્યા બાદ તેની હાલત ખુબ ખરાબ થઇ ગઇ છે. આવી સ્થિતીમાં પાર્ટીને બેઠી કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં અત્યારથી જ કોંગ્રેસ પાર્ટીએ ૨૦૨૨ની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે તેના સંગઠનને નવેસરથી ઉભા કરવા માટેની તૈયારી કરી છે. હકીકતમાં પાર્ટી ઇચ્છે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા સમગ્ર પ્રદેશમાં બુથ  સ્તરથી લઇને અધ્યક્ષ સુધી મોટા પાયે ફેરફાર કરવામાં આવે. કાર્યકરોમાં જુસ્સો વધારી દેવા માટે કામ કરવામા ંઆવી રહ્યા છે. જનતાની વચ્ચે જઇને લોકોમાં વિશ્વાસ જગાવી શકે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં મળેલી હાર માટેના કારણો જાણવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ફિડબેકના આધાર પર નવી રણનિતી બનાવવા પર કામ થઇ શકે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સુત્રોના કહેવા મુજબ પાર્ટી પ્રદેશમાં સંગઠનને મજબુત કરીને નવા નામ પોતાની સાથે જોડીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આને લઇને પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે અલગ અલગ રીતે વાતચીત કરી રહ્યા છે. જેના કારણે તેના આધાર પર જ પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. કોંગ્રેસના તમામ નેતાઓ એક બાબત તો માને છે કે સૌથી પહેલા તો સંગઠનની તાકાતને વધારી દેવાની જરૂર છે. ત્યારબાદ જ પ્રજાની વચ્ચે વિશ્વાસ જગાવવામાં આવનાર છે.

કોંગ્રેસ હવે નવેસરથી લોકોની વચ્ચે જઇને વિશ્વાસ જગાવશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાઢેરા મોટા ફેરફાર સંગઠનમાં કરવા માટે ઇચ્છુક છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી હતી. વર્ષ ૨૦૧૪માં કોગ્રેસને બે સીટ મળી હતી. જ્યારે આ વખતે કોંગ્રેસને એક સીટ મળી હતી. વર્ષ ૨૦૧૪માં સાઢા સાત ટકા મત મળ્યા હતા. આ વખતે ૬.૩ ટકા વોટ મળ્યા છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૬.૨ ટકા મત મળ્યા હતા. સતત ઘટી રહેલા જનાધારને લઇને કોંગ્રેસ પાર્ટી પરેશાન છે. આગામં દિવસોમાં કોંગ્રેસને વધારે મહેનત કરવાની જરૂર દેખાઇ રહી છે. જે પડકારરૂપ છે.

ઉમેદવારોની સાથે બેઠક કરશે

હવે પ્રિયંકા વાઢેરાની ૧ર જુનના દિવસે મીટીંગ થશે

લખનૌ, તા. ૧૨: ઉત્તરપ્રદેશની સાથે સાથે દેશમાં હાલમાં કોંગ્રેસની જે હાલત થયેલી છે તેને લઇને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશ સહિતના મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થઇ ગયા છે. પાર્ટીમાં ધરખમ ફેરફારોને લઇને તૈયારી કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પણ એક્શનમાં દેખાઇ રહ્યા છે. પ્રિયંકા વાઢેરા આવતીકાલે ૧૨મી જુનના દિવસે રાયબરેલીમાં લોકસભા ચૂંટણીના ઉમેદવારોની સાથે બેઠક કરનાર છે. જાણકારી મુજબ આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા, નેતાઓ અને કાર્યકરોની સાથે હારના કારણો પર ચર્ચા કરનાર છે. પાર્ટીની ફેરરચનાના મુદ્દા પર વાતચીત કરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી હાલમાં પાર્ટીના ખરાબ દેખાવ બાદ જાહેરમાં ઓછા નજરે પડી રહ્યા છે. રાજીનામુ આપવા માટેની ઓફર પણ કરી ચુક્યા છે. જો કે હજુ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

(3:39 pm IST)