Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર: ટ્વિટ કરવું કોઈ હત્યા નથી : પત્રકાર પ્રશાંત કનૌજિયાને મુક્ત કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈને એક ટ્વિટ માટે 11 દિવસ સુધી જેલમાં ન રાખી શકાય

નવી દિલ્હી : પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડ અંગેની પિટિશન પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી છે અને તેમને તાત્કાલીક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પ્રશાંતની પત્ની તરફથી દાખલ પિટિશન પર  સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈનો મત અલગ-અલગ હોઈ શકે છે. તેમને (પ્રશાંત) કદાચ તે ટ્વિટ નહોતા કરવું જોઈતું, પરંતુ આ આધારે કોઈની ધરપકડ ન કરી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈને એક ટ્વિટ માટે 11 દિવસ સુધી જેલમાં ન રાખી શકાય. સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કહ્યું કે આ કોઈ હત્યાનો મામલો નથી. કોર્ટે કહ્યું કે, મેજિસ્ટ્રેટનો ઓર્ડર યોગ્ય નથી. તેમને તાત્કાલીક જેલમાંથી મુક્ત કરવામાં આવે
સુપ્રીમ કોર્ટે આ સાથોસાથ કહ્યું કે, જો કોઈની સ્વતંત્રતાનું હનન થઈ રહ્યું છે તો અમે હસ્તક્ષેપ કરીશું. રાજ્ય સરકાર પોતાની તપાસ ચાલી રાખી શકે છે પરંતુ કનૌજિયાને સળીયા પાછળ ન રાખી શકાય.
બીજી તરફ, કોર્ટમાં યૂપી સરકારનો પક્ષ રજૂ કરી રહેલા એએસજી વિક્રમજીત બેનર્જીએ કોર્ટની કનૌજિયા તરફથી કરવામાં આવેલા ટ્વિટ્સની નકલ સોંપી. યૂપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કનૌજિયાની ધરપકડ માત્ર એક ટ્વિટ પર નહીં પરંતુ તે રીઢો અપરાધી છે. તેણે ભગવાન અને ધર્મની વિરુદ્ધ ટ્વિટ કર્યા છે.
યૂપી સરકારે કહ્યું કે, મેજિસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલા રિમાન્ડ ઓર્ડરને નીચલી કોર્ટમાં પડકારી શકાય છે.

(1:01 pm IST)