Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રેલ્વેની નિયમિતતા ૩ મહિનામાં ૬૫ ટકાની નીચી સપાટીએઃ ઘણી ટ્રેનો ૨૦ કલાક જેટલી મોડી

નિયમિતતા માટેના આદેશોઃ આંતરિક લડાઇને કારણે મોડી પડે છે ટ્રેનો

નવી દિલ્હી તા.૧૧: ભારતીય રેલ્વેની નિયમિતતા છેલ્લા ત્રણ મહિનામાં ૬૫ ટકાની અત્યાર સુધીની નીચી સપાટીએ પહોંચી છે. લાંબા અંતરની મોટા ભાગની ટ્રેન્સ ૨૦ કલાકથી વધુ મોડી છે. વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ચંપારણ હમસફર ટ્રેન પણ સરેરાશ ૧૨ કલાક મોડી છે. થોડા મહિના પહેલાં રેલવેની નિયમિતતા ૮૦ ટકા કે એથી વધારે હતી. રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાણીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે, રેલ્વેની નિયમિતતાના આંકડા ઊંચા પ્રમાણમાં મેન્ટેનન્સના કારણે તો ઘટયા જ છે, પણ ડેટા લોગર્સ દ્વારા ઓટોમેટિક રિપોર્ટીગના કારણે પણ નિયમિતતાના આંકડામાં ઘટાડો નોંધાયો છે ત્યારપછી ખોટી માહિતીના આંકડામાં ઘટાડો થયો છે.

તેમણે કહયું હતું કે, ''નિયમિતતા માટે રેલવે ડેટા લોગર્સનો ઉપયોગ કરતી હતી અને નિયમિતતાના ૯૦ ટકા આંકડા આ લોગર્સ દ્વારા ઓટો જનરેટેડ હતા. એટલે ડેટા સાચો હતો.'' જોકે, રેલવે બોર્ડના કાર્યક્ષમતા વિભાગ દ્વારા લખાયેલ પત્ર મુજબ ''ડેટા લોગર્સ માત્ર ૫૫ લોકેશન પર કાર્યરત છે. રેલવે દેશભરમાં ૮,૦૦૦ થી વધુ સ્ટેશન ધરાવે છે.'' ૩૧ મેના રોજ લખાયેલા માં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ''ટ્રેન મોડી પડવાની સંખ્યામાં વધારો રેલવે ટ્રાફીક અને એન્જીનિયરીંગ સર્વિસિસ બંને વચ્ચે સતત ચાલતી લડાઇ છે. ટ્રેન્સમાં વિલંબને કારણે તેના કેન્સલેશનમાં વધારો થયો છે. તેને લીધે રેલ્વેને દૈનિક ધોરણે આવકમાં નુકસાન થયું છે. ટ્રેન્સનું સંચાલન કરતો વિભાગ 'ટ્રાફિક સર્વિસ'એ વિલંબ માટે એન્જિીનિયરીંગ સર્વિસને જવાબદાર ઠેરવી છે. એન્જિનિયરીંગ સર્વિસ ટ્રેક (રેલવેના પાટા) અને અન્ય મેન્ટેનન્સ સંબંધી ઇશ્યૂ પર નજર રાખે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે પણ આ મુદો ઉઠાવાયો છે. ટ્રાફિક સર્વિસના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ''તાજેતરમાં દિલ્હીના નિઝામુદીનમાં સાત કલાક લાંબો બ્લોક લેવામાં આવ્યો હતો. જોકે કોઇ કામ થયું ન હતું. આ બાબત હવે વારંવાર થઇ રહી છે. ઉપરાંત, સિગ્નલિંગ અને સિવિલ વકર્સ સહિતના જુદા-જુદા વિભાગો સમાન રૂટ્સ પર જુદા-જુદા મેન્ટેનન્સનું કામ સંભાળે છે.'' (૧.૨)

નિયમિતતા ઘટવાના કારણો

. ઊંચા પ્રમાણમાં મેન્ટેનન્સના કારણે મોડી પડતી ટ્રેન્સની સંખ્યા વધી

. ડેટા લોગર્સ દ્વારા ઓટોમેટિક રિપોર્ટીગના કારણે નિયમિતતાના આંકડામાં ઘટાડો નોંધાયો

. રેલવે ટ્રાફિક અને એન્જિનિયરીંગ સર્વિસિસ બંને વચ્ચેની લડાઇથી પણ નિયમિતતા ઘટી

(11:51 am IST)