Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોનાથી મમ્મી-પપ્પા સાથે દાદા-દાદીનું પણ મોત : પરિવારમાં બચી માત્ર બે માસૂમ બાળકીઓ

માત્ર ૧૧ દિવસમાં એક પછી એક પરિવારના ૪ સભ્યો મોતને ભેટ્યા હતા

ગાઝિયાબાદ,તા.૧૧: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ખૂબ જ દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ફ્લેટમાં રહેતા પરિવારના ૬ સભ્યોમાંથી ૪ મોટા સભ્યો કોરોના રોગને કારણે મૃત્યુ પામ્યા છે. હવે પરિવારમાં એક ૮ અને ૬ વર્ષની વયની બે છોકરીઓ જ બાકી છે.

આ મામલો ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારની એક સોસાયટી સાથે સંબંધિત છે. માત્ર ૧૧ દિવસમાં એક પછી એક પરિવારના ૪ સભ્યો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ સમાજના લોકો પણ ડરી ગયા છે. મૂળ જમ્મુના રહેવાસી અને નિવૃત્ત્। શિક્ષક એવા ગાઝિયાબાદના પંચશીલ વિલિંગ્ટન સોસાયટી ઓફ ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષિય દુર્ગેશ પ્રસાદને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમણે ઘરમાં આઈસોલેટ થઈને સારવાર ચાલુ કરી હતી.

આવી સ્થિતિમાં ૨૭ એપ્રિલે દુર્ગેશ પ્રસાદનું ઘરે નિધન થયું હતું. આ પછી દુર્ગેશનો પુત્ર અને પુત્રવધૂને પણ કોરોના ચેપ લાગ્યો હતો. બંનેને ગ્રેટર નોઈડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની પત્ની સંતોષ કુમારીને પણ કોરોના ચેપ લાગ્યો હતો. જેની સારવાર તેમના જ ઘરે કરવામાં આવી હતી. તે જ સમયે ૪ મેના રોજ દુર્ગેશના પુત્ર અશ્વનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

તે પછી ૫ મેના રોજ દુર્ગેશ પ્રસાદની પત્ની સંતોષ કુમારીનું પણ તેમના ઘરે નિધન થયું હતું. મામલો અહીં અટકયો નહીં આ પછી દુર્ગેશની પુત્રવધૂ નિર્મલાનું ૭ મેના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આ સમગ્ર પરિવારમાં અશ્વની અને નિર્મલાની માત્ર બે નિર્દોષ છોકરીઓ બાકી છે. જેના કારણે સોસાયટીમાં ડરનો માહોલ સર્જાયો છે. અશ્વની અને નિર્મલાને બે પુત્રી છે જેની ઉંમર ૮ અને ૬ વર્ષની છે. તેને તેની કાકીના ઘરે બરેલી મોકલવામાં આવી છે.

(11:13 am IST)