Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મીની લોકડાઉનમાં છૂટછાટની શકયતાઃ રાત્રી કર્ફયુ ચાલુ રહેશે ? સાંજે નિર્ણય

કોરોનાની ચેઈનને તોડવા રાજ્ય સરકારે તા. ૪ મેથી લાદેલા નિયંત્રણોની મુદત આવતીકાલે પુરી થઈ રહી છેઃ શું કરવું એ બાબતે ઉચ્ચ કક્ષાએ ચર્ચા-વિચારણા : વેપારીઓની માંગણીઓને ધ્યાને લઈ સરકાર કામ-ધંધા, વેપારની છૂટ આપે તેવી શકયતાઃ રાત્રી કર્ફયુનો અમલ ચાલુ રહે તેવી સંભાવનાઃ સરકારના નિર્ણય ઉપર સમગ્ર ગુજરાતની મીટ

અમદાવાદ, તા. ૧૧ :. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આમ છતા હજુ કોરોના શાંત થયો નથી. આ સંજોગોમાં મીની લોકડાઉન ચાલુ રાખવુ કે છૂટ આપવી ? એ બાબતને લઈને સરકાર ભારે મુંઝવણમાં મુકાઈ હોવાનું જાણવા મળે છે. જો કે રાજ્ય સરકાર રાત્રી કર્ફયુ ચાલુ રાખે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના અનેક વેપારી સંગઠનોએ આર્થિક પ્રવૃતિ ધમધમતી કરવા માટે મીની લોકડાઉનમાં છૂટછાટની માંગણી કરી છે. અત્રે એ નોંધનીય છે કે રાજ્ય સરકારે મીની લોકડાઉન અને ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત કરી હતી તેની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે. તેથી મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુ વિશે આજે સાંજ સુધીમાં સરકાર કોઈ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.

કોરોનાની ચેઈન તોડવા માટે હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના ૮ મહાનગરો અને ૩૬ શહેરોમાં રાત્રીના ૮ થી સવારે ૬ સુધીનો કર્ફયુ ચાલી રહ્યો છે. એવુ જાણ વા મળે છે કે કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ સરકાર કોઈ ખતરો લેવા માગતી નથી આથી રાત્રી કર્ફયુનો અમલ લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે મીની લોકડાઉન પણ જાહેર કર્યુ છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જે હેઠળ તા. ૪ મેથી મોટાભાગની દુકાનો-બજારો બંધ છે જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે. તેઓએ દલીલ કરી છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે. જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ.

વિવિધ વેપારી એસોસીએશનોની અપીલને ધ્યાને લઈને સરકાર મીની લોકડાઉનમાં છૂટછાટ આપશે તેવુ લાગે છે પરંતુ રાત્રી કર્ફયુનો અમલ ચાલુ રહે તેવુ જણાય છે.

સરકાર આ બાબતે આજ સાંજ સુધીમા કોઈ નિર્ણય જાહેર કરશે તેવુ જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ૮ મહાનગરો ઉપરાંત રાજ્યના ૩૬ શહેરોમાં બધુ જ બંધ છે.

(10:51 am IST)