મુંબઇ તા. ૧૧ : લોકસભા ચૂંટણીનો પાંચમો તબક્કા પૂરો થયા બાદ સટ્ટાબજારમાં બીજેપીનો ભાવ સુધર્યો છે. ચોથા ચરણ સુધી બીજેપીની સ્થિતિ ડામાડોળ ગણાવાઈ રહી હતી, પરંતુ હવે એમાં થોડી બેઠકોનો સટ્ટાબજારે ઉમેરો કર્યો છે. સૂત્રોનું માનીએ તો સટ્ટાબજારનું પાંચમું ચરણ પૂરું થયા બાદના સટ્ટાબજારના રૂખ પર નજર નાખીએ તો ભાજપ ૨૪૮થી ૨૫૦ બેઠકો મેળવે એવી ધારણા છે. મતદાનના ચોથા ફેઝ સુધી બીજેપીના ભાગે માત્ર ૨૩૬થી ૨૩૮ સીટ આવશે એવો અંદાજ લગાવાઈ રહ્યો ભાજપનો ઘોડો વિનમાં હતો. જયારે કોન્ગ્રેસને પહેલાં જે ૭૨થી ૭૪ બેઠકો મળવાની ધારણા સેવાઈ હતી એના સ્થાને હવે તેને ૭૬થી ૭૮ બેઠકો મળશે એવી સંભાવના દર્શાવાઈ છે.
સૂત્રો અનુસાર અત્યાર સુધીમાં ૮૫,૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો લગાડાઈ ચૂકયો છે. ચૂંટણીના ત્રણ તબક્કા હજી બાકી છે અને ૧૨ મેએ આઇપીએલ પૂરી થયા બાદ વધુ રકમ સટ્ટાબજારમાં ઠલવાશે એવો અંદાજ છે. ચોથા તબક્કા પછી સટોડિયાઓએ માત્ર ભાજપ માટે જ ભાવ ખોલ્યા હતા એટલે એવી છાપ ઊભી થઈ હતી કે સટ્ટાબજાર ભાજપ સામે નતમસ્તક થઈ ગયું છે. જયારે ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં પણ બજારનાં સમીકરણોમાં ગરબડ થતાં પંટરોનો વિશ્વાસ ડગ્યો છે ત્યારે હવે લોકસભાની આ ચૂંટણીમાં સટ્ટાબજારની શાખ દાવ પર લાગી છે.
સટ્ટાબજારનાં સૂત્રો અનુસાર ભાજપ એકલે હાથે જ ૨૭૨ બેઠકો મેળવે અને સરકાર રચે તો ૩.૫૦ રૂપિયાનો ભાવ રખાયો છે, જયારે એનડીએ સરકાર બનાવે તો ૧૨ પૈસાનો ભાવ બોલાઈ રહ્યો છે. સામા પક્ષે કોન્ગ્રેસ ૨૭૨ સીટ મેળવે તો ૧૦૦ રૂપિયાનો ભાવ, જયારે યુપીએ સરકાર રચે તો ૫૦ રૂપિયા ભાવ રખાયો છે. તો મહાગઠબંધન સરકાર બનાવે તો ૮૦ રૂપિયાનો ભાવ રખાયો છે.
વડા પ્રધાન કોણ બનશે એ બાબતે પણ નરેન્દ્ર મોદી પર ૧૫ પૈસા, રાહુલ ગાંધી પર ૬૦ રૂપિયા, માયાવતી પર ૧૧૦ રૂપિયા, મમતા બેનરજી પર ૧૫૦ રૂપિયાનો ભાવ સટ્ટાબજારમાં ચાલી રહ્યો છે. જયારે રાજયવાર કોને કેટલી બેઠક મળશે એ બાબતે ભાજપ માટે ફરીથી ભાવો ખોલાયા છે. એ અનુસાર ૨૩૫ બેઠક પર ૩૨ પૈસા, ૨૪૦ સીટ પર ૫૨ પૈસા, ૨૪૫ બેઠક પર ૮૨ પૈસા અને ૨૫૦ બેઠકો પર ૧.૦૫નો ભાવ બોલાઈ રહ્યો છે. સટ્ટાબજારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ માટે આના કરતાં વધુ ભાવો હવે ખોલવામાં નહીં આવે. એની પાછળનું કારણ ઈશ્વીએમ મશીનોની સતત આવી રેહેલી ફરિયાદ ગણાવાઈ રહ્યું છે. જયારે કોન્ગ્રેસ માટે સટોડિયાઓએ ૬૦ બેઠક પર ૨૮ પૈસા, ૬૫ સીટ પર ૬૫ પૈસા, ૭૦ માટે ૮૫ પૈસા અને ૭૫ બેઠકો માટે એક રૂપિયો અને ૮૦ બેઠકો માટે ૧.૩૦ રૂપિયાનો ભાવ રાખ્યો છે એટલું જ નહીં; એનાથી વધુ બેઠકો માટે પણ ભાવ બોલાઈ રહ્યો છે.
સટ્ટાબજારે બેઠકોનું રાજયવાર પર આકલન કર્યું છે. સટ્ટાબજાર અનુસાર ગુજરાતની ૨૬માંથી ભાજપને લગભગ બાવીસથી ૨૩ બેઠકો મળશે, કોન્ગ્રેસને ૩ બેઠકો મળે એમ છે; જયારે મધ્ય પ્રદેશમાં બાવીસ ભાજપ લઈ જશે, જયારે અહીં કોન્ગ્રેસની બેઠકો વધવાની ધારણા લગાવાઈ છે એટલું જ નહીં, ગોવામાં ભાજપ બન્ને બેઠકો મેળવશે અને રાજસ્થાનમાં ૨૫માંથી ૨૧ બેઠકો ભાજપ અને ૪ બેઠકો કોન્ગ્રેસને ફાળે જાય એવો અંદાજ લગાવાયો છે.
યુપીમાં કુલ ૮૦માંથી ૪૮ ભાજપ, મહાગઠબંધન ૨૭ અને કોન્ગ્રેસને વધુમાં વધુ ૪ બેઠકો મળશે તેમ જ કેરળમાં ભાજપને વધુમાં વધુ ૩ અને ઓડિશામાં ભાજપને લગભગ ૧૫ બેઠકો મળશે એવો અંદાજ લગાવાયો છે. જયારે મહારાષ્ટ્રમાં ભાજપને એક કે બે બેઠક પર નુકસાન થવાની શકયતા દર્શાવાઈ છે.
બુકીઓ અનુસાર ઓડિશા અને પશ્યિમ બંગાળમાં ભાજપએ લગાવેલા એડીચોટીના જોરને ધ્યાનમાં લેતાં એને ૧૫ કે તેથી વધુ બેઠકો મળશે.
ભાજપને રમઝાનનો ફાયદો થશે?
સટ્ટાબજારનાં સૂત્રોએ એવો અંદાજ લગાવ્યો છે કે રમઝાન માસમાં પડી રહેલી તીવ્ર ગરમીને કારણે મુસ્લિમોનું મતદાન ઓછું થવાની શકયતાને પગલે કોન્ગ્રેસના મતો તૂટશે. માત્ર કોન્ગ્રેસ જ નહીં, સમાજવાદી પક્ષ સહિતનાં દળોની પણ વોટબેન્ક મુસ્લિમો હોવાને કારણે તેમને પણ નુકસાન થવાની શકયતા છે; જેનો સીધો ફાયદો સ્વાભાવિક જ ભાજપને થશે.
બુરખા પર પ્રતિબંધની શિવસેનાની માગ નુકસાનનું કારણ બનશે ?
તાજેતરમાં જ શિવસેનાએ મુસ્લિમ મહિલાઓના બુરખા પર પ્રતિબંધની કરેલી માગણીને કારણે શિવસેના અને ભાજપ બન્નેને નુકસાન થવાની સંભાવના વ્યકત કરાઈ છે.
વીઆઇપી નેતાઓ - બેઠકોના અલગ ભાવ : મોદી શૂન્ય, રાહુલ સવા રૂપિયો
વીઆઇપી બેઠકોની બાબતે સટ્ટાબજાર વિશિષ્ટ ખેલ રચી રહ્યું છે. નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ, ગોપાલ શેટ્ટીની જીત પર શૂન્ય ભાવ છે. લખનઉમાં રાજનાથસિંહ સામે મેદાનમાં ઉતરેલા પૂનમ સિંહાની જીત પર ૨૫ રૂપિયા તો ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞાની જીત પર વીસ પૈસાનો ભાવ રખાયો છે. જ્યારે કોંગ્રેસના દિગ્વિજયસિંહની જીત પર પાંચ રૂપિયાનો ભાવ બોલાઇ રહ્યો છે. પટનામાં શત્રુધ્ન સિંહા પર પાંચ રૂપિયા અને રવિશંકરની જીત પર ૧૮ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. જ્યારે મથુરામાં હેમા માલિનીની જીત પર ૫૫ પૈસા અને તેમના હરીફ ઉમેદવાર પર ૧.૭૫ રૂપિયાનો ભાવ છે. પીલીભીત બેઠક પર વરૂણ ગાંધીની જીત પર ૨૦ પૈસા અને તેમના હરીફ પર પાંચ રૂપિયાનો ભાવ બોલાય છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાનીની જીત પર ૭૦ પૈસા અને રાહુલ ગાંધીની જીત પર સવા રૂપિયો અને વાયનાડમાં તેમની જીત પર ૪૦ પૈસા ભાવ રખાયો છે. જોકે તેમના હરીફ પર ૨.૨૫નો ભાવ બોલાઇ રહ્યો છે.
મુંબઇમાં ઉર્મિલા માતોંડકરની બેઠક ૪૦ રૂપિયા
મુંબઇમાં ગોપાલ શેટ્ટીની જીત પર શૂન્ય ભાવ, જ્યારે ઉર્મિલા માતોંડકરની જીત પર ૪૦ રૂપિયા જ્યારે પૂનમ મહાજનની જીત પર ૬૦ પૈસા અને પ્રિયા દત્તની જીત પર ૧.૫૦ રૂપિયા. ગાયકવાડ પર ૧.૨૫ રૂપિયા અને મિલિંદ દેવરા પર ૬૫ પૈસા, અરવિંદ સાવંત પર ૧.૪૫ રૂપિયા અને મનોજ કોટકની જીત પર ૪૫ પૈસાનો ભાવ છે.