Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જનરલ ક્વોટા : અરજી પર ૨૮મી માર્ચે સુનાવણી થશે

બંધારણીય બેંચમાં મામલાને મોકલવાની અરજી : બંધારણીય બેંચને અનામતનો મામલો મોકલવામાં આવે કે કેમ તેને લઇને વિચારણા : અનેક તર્કદાર દલીલો કરાઈ

નવી દિલ્હી, તા. ૧૧ : સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, તે સામાન્ય વર્ગના ગરીબ લોકોને ૧૦ ટકા અનામત આપવાના મામલાને હાલમાં બંધારણીય બેંચને મોકલવાના આદેશ આપવાની તરફેણમાં નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં એક બેંચે કહ્યું હતું કે, તે ૨૮મી માર્ચના દિવસે અરજી પર સુનાવણી હાથ ધરશે. બંધારણીય બેંચને મોકલવામાં આવે કે ન મોકલવામાં આવે તે અંગે વિચારણા કરવામાં આવશે. આ પીઠમાં ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ સામેલ હતા. પીઠે અરજીકારો તરફથી રજૂ થયેલા વકીલ રાજીવ ધવને પોતાની અરજીમાં કહ્યું હતું કે, કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. મુદ્દાઓને એક નાનકડી નોંધમાં સામેલ કરવા કહેવામાં આવ્યું છે. આર્થિકરીતે નબળા વર્ગના લોકોને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતના મોદી સરકારના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આર્થિકરીતે નબળા સામાન્ય વર્ગના લોકોને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાના બંધારણીય સુધારા બિલને સંસદીય મંજુરી મળી ચુકી હતી. આ બિલને મંજુરી મળી ગયા બાદ આગલા દિવસે સુપ્રીમ કોર્ટમાં એક સંગઠને અરજી દાખલ કરીને પડકાર ફેંક્યો હતો. યુથ ફોર ઇક્વેલિટી નામની સંસ્થા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં બંધારણીય સુધારાને અનામતને લઇને સુપ્રીમ કોર્ટમાં નિર્ણયની સામે ગણાવીને તેની ટિકા કરવામાં આવી હતી. જનરલ ક્વોટાને પડકારતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આર્થિક માપદંડ અનામતના આધાર તરીકે હોઈ શકે નહીં. અરજીમાં આને બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં ગણાવીને તેની ટિકા કરવામાં આવી હતી. આ સંસ્થાએ જનરલ ક્વોટાને સમાનતાના અધિકાર અને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધમાં ગણાવીને તેની ટિકા કરવામાં આવી હતી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ગરીબોને ૧૦ ટકા અનામતની જોગવાઈ નાગરાજ વિરુદ્ધ ભારત સરકારના મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં છે. અત્રે નોંધનીય છે કે, જનરલ ક્વોટામાં ૧૦ ટકા અનામતને કાયદો બનાવી દેવામાં આવ્યો છે. સુવર્ણ વર્ગના નબળા લોકોને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવામાં આવનાર છે. જનરલ ક્વોટા મામલાને બંધારણીય બેંચમાં મોકલવાને લઇને ૨૮મી માર્ચના દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવનવાર છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને ૧૦ ટકા અનામત આપવાનો મુદ્દો હજુ પણ રાજકીય ગરમી જગાવી રહ્યો છે.

 

(7:18 pm IST)