Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

આતંકવાદને હવે વધુ સહન કરવામાં નહીં આવે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સીઆઈએસએફ સ્થાપના દિવસે ઉપસ્થિત : પુલવામા અને ઉરી હુમલા બાદ આતંકવાદ સામે નિર્ણાયક જંગ છેડાયો છે : સુરક્ષા કર્મચારીઓની કરેલી ભારે પ્રશંસા

નવીદિલ્હી, તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઆઈએસએફ સ્થાપના દિવસે આતંકવાદના મુદ્દા ઉપર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, આતંકવાદને હવે ચલાવી લેવામાં આવશે નહીં. તેમની સરકારે આતંકવાદની સામે જોરદાર જંગ છેડી દીધો છે. હવે નુકસાન ઉઠાવવામાં આવશે નહીં. પુલવામા અને ઉરી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર કોઇપણ કિંમતે ઝુંકશે નહીં. સુરક્ષા કર્મીઓની મોદીએ આજે ભરપુર પ્રશંસા કરી હતી. સ્વતંત્ર ભારતના સપનાંને સાકાર કરવામાં સીઆઈએસએફ એક મહત્વપૂર્ણ સંસ્થા છે. સીઆઈએસએફ એક એવું સંગઠન છે જે ૩૦ લાખ નાગરિકોની સુરક્ષામાં તહેનાત છે. આ કામ કોઈ વીઆઈપીને સુરક્ષા આપવાથી પણ મોટું છે. આ ઉપલબ્ધિ એટલે મહત્વપૂર્ણ બને છે કે જ્યારે પડોશી દેશમાં યુદ્ધ લડવાની ક્ષમતા ન હોય. સ્વંતત્ર ભારતનાં સપનાઓને સાકાર કરવા માટે સીઆઈએસએફની મહત્વની ભૂમિકા રહી છે. પીએમ મોદીએ સીઆઈએસએફનાં સલામી પરેડને સંબોધતા કહ્યું કે, સીઆઈએસએફની ભૂમિકા દેશની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જ્યારે દુશ્મન યુદ્ધ કરવાની સ્થિતીમાં ન હોય ત્યારે તે દેશની અંદર આતંકી પ્રવૃત્તિઓને વધારી દે છે. આ પ્રકારની પરિસ્થિતીઓમાં સુરક્ષાની જવાબદારી લેનાર સીઆઈએસએફની ભૂમિકાની મહત્વપૂર્ણ બની જાય છે. વડાપ્રધાને કહ્યું કે, *જો આજે આ કાર્યક્રમમાં હાજર ન રહ્યો હોત તો મેં ઘણું ગુમાવ્યું હોત. સુરક્ષામાં લાગેલા જવાનોને સહયોગ આપવો જોઈએ. વીઆઈપી કલ્ચર સુરક્ષામાં ક્યારેક ક્યારેક સંકટ ઊભું થઈ જાય છે. સુરક્ષામાં નાગરિકોએ પણ સહયોગ કરવો જરૂરી છે. એરપોર્ટ અને મેટ્રોમાં સુરક્ષા સીઆઈએસએફના સમર્પણથી જ સંભવ થઈ છે. મને પણ અનેક વખત મેટ્રોમાં સફર કરવાની તક મળી છે, મેં જોયું છે કે કલાકો સુધી મહેનત કરો છો. મોદીએ કહ્યું કે, આપણાં સુરક્ષાકર્મીનો પરિવાર પણ અન્ય લોકોની જેમ જ હોય છે. તેમના પણ સપનાંઓ હોય છે, આકાંક્ષાઓ હોય છે. પરંતુ દેશની રક્ષાનો ભાવ જ્યારે મનમાં આવે છે તો દરેક મુશ્કેલી પર જીત મેળવી લે છે. આપદાઓની સ્થિતિમાં તમારું યોગદાન હંમેશા માટે સરાહનીય છે.

કેરળમાં આવેલા ભીષણ પૂરમાં સીઆઈએસએફે રાહત અને બચાવના કામમાં દિવસ રાત એક કરીને હજારો લોકોના જીવન બચાવવામાં મદદ કરી હતી. સીઆઈએસએફની સ્થાપના ૧૦ માર્ચ, ૧૯૬૯ના રોજ થઈ હતી. શરૂઆતમાં સીઆઈએસએફમાં ૩,૧૨૯ જવાનો હતા. તેની સ્થાપના સંવેદનશીલ એકમોને સુરક્ષા આપવા માટે કરવામા આવી હતી.વર્તમાન સમયમાં સીઆઈએસએફ દિલ્હી મેટ્રો અને આઈજીઆઈ સહિત દેશભરનાં મુખ્ય ૫૯ એરપોર્ટની સુરક્ષાની સાથો સાથ મુખ્ય સરકારી ઈમારતો, પરમાણુ સંસ્થા, ઐતિહાસિક ઈમારતો અને અંતરિક્ષ કેન્દ્રની સુરક્ષા માટે તહેનાત છે.

(12:00 am IST)