Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

સસ્પેન્સ વચ્ચે નાગરિક સુધારા બિલ કાલે રાજ્યસભામાં રજૂ

લોકસભામાં ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી પાસ થઇ ચુક્યું છે : એનડીએ સરકાર પાસે રાજ્યસભામાં બહુમતિ નહીં હોવાથી આકરી કસોટી થઇ શકે : બિલ પાસ કરાવવાના પ્રયાસો : બહુમતિ માટે ૧૨૧ સભ્યો જરૂરી

નવીદિલ્હી, તા. ૧૦ : ભારે ચર્ચા જગાવનાર નાગરિક સુધારા બિલને આવતીકાલે સંસદમાં ઉપલા ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં શાસક ગઠબંધન એનડીએ માટે ખુબ મુશ્કેલી નડી શકે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે, સરકાર જે રીતે ત્રિપલ તલાક બિલ અને કલમ ૩૭૦ને ખતમ કરવાને લઇને બિલને પાસ કરવામાં સફળ રહ્યું હતું તેવી જ રીતે આ મામલામાં પણ સરકાર સફળ થઇ જશે. નાગરિક સુધારા બિલ ઉપર સંસદની મંજુરીની ખાતરી કરવા માટે સરકાર સંપૂર્ણ સજ્જ દેખાઈ રહી છે. સોમવારે મોડી રાત્રે લોકસભામાં આ બિલ ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી પાસ થઇ ગયું હતું. રાજ્યસભામાં શાસક એનડીએ પાસે બહુમતિ નથી પરંતુ કેટલીક પાર્ટીઓ તેને સમર્થન કરી શકે છે. કેટલાક બિન એનડીએ પક્ષો લોકસભામાં પણ મતદાન દરમિયાન બિલની તરફેણમાં મતદાન કરી ચુક્યા છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના બિન મુસ્લિમ શરણાર્થીઓ માટે ભારતમાં નાગરિકતાનો રસ્તો સાફ કરનાર નાગરિક સુધારા બિલ ઉપર રાજ્યસભામાં મુખ્ય પરીક્ષા થનાર છે. આ બિલ રાજ્યસભામાં આવતીકાલે બુધવારના દિવસે રજૂ કરવામાં આવશે.

           લોકસભામાં બહુમતિ હોવાના કારણે સરકાર ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી બિલને પાસ કરાવી લેવામાં સફળ રહ્યું હતું પરંતુ સંસદના ઉપરી ગૃહમાં ગણતરી અન્ય દેખાઈ રહી છે. સરકાર રાજ્યસભામાં લઘુમતિ છે. આવી સ્થિતિમાં નંબર ગેમ ખુબ ઉપયોગી રહી શકે છે. ભાજપને આશા છે કે, સરકાર જે રીતે ત્રિપલ તલાક બિલ અને કલમ ૩૭૦ને નિષ્ક્રિય કરવામાં સફળ રહી હતી તે રીતે રાજ્યસભામાં પણ નાગરિક સુધારા બિલને પાસ કરાવી લેશે. રાજ્યસભાની ગણતરીની વાત કરવામાં આવે તો એનડીએના સૌથી મોટા પક્ષ ભાજપ પાસે રાજ્યસભામાં ૮૩ સાંસદ છે જ્યારે જનતા દળ યુનાઇટેડ પાસે ૬ સાંસદ છે. બિહારમાં સત્તામાં રહેલી જેડીયુ પાર્ટીએ લોકસભામાં નાગરિક સુધારા બિલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત એનડીએમાં સામેલ શિરોમણી અકાળી દળના ત્રણ, આરપીઆઈના એક અને અન્ય પક્ષોના ૧૩ સભ્યો છે. હાલમાં એનડીએ ગઠબંધનની પાસે ૧૦૬ રાજ્યસભા સાંસદ છે. જેડીયુ દ્વારા લોકસભામાં બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું પરંતુ આને લઇને પાર્ટીમાં બે સુર દેખાઈ રહ્યા છે. જેડીયુ નેતા પ્રશાંત કિશોર આની વિરુદ્ધમાં દેખાઈ રહ્યા છે. બહુમતિની વાત કરવામાં આવે તો બહુમતિ માટે ૨૪૫ કુલ સીટ ક્ષમતા સામે ૧૨૧ની રહેલી છે. જ્યારે એનડીએની પાસે ૧૦૬ સભ્યો છે. ખાલી પાંચ સીટો રહેલી છે જેમાં આસામમાં બે, બિહાર, હિમાચલ પ્રદેશ અને ઓરિસ્સામાં એક-એક સીટનો સમાવેશ થાય છે. ૧૨ નોમિનેશન પામેલા સભ્યો પૈકી આઠે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. બાકીના ચાર રહેલા નોમિનેશન સભ્યો પૈકી ત્રણ દ્વારા બિલની તરફેણમાં મતદાન કરવામાં આવ્યું છે. બીજી બાજુ યુપીએમાં કોંગ્રેસના સૌથી વધારે ૪૬ સાંસદ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને શરદ પવારની પાર્ટી એનસીપીના ચાર-ચાર સભ્યો છે.

           ડીએમકેના પાંચ સભ્યો છે. અન્ય યુપીએ સાથી પક્ષોના ત્રણ સભ્યો છે. એટલે કે યુપીએના કુલ ૬૨ રાજ્યસભા સાંસદો છે. રાજ્યસભામાં અમિત શાહ અને એનડીએ સરકારની કસોટી થનાર છે. કેટલીક એવી પાર્ટીઓ છે જે એનડીએ અને યુપીએમાં નથી. સમય સમય પર તેમની વિચારધારા બદલાતી રહી છે. રાજ્યસભામાં સાંસદોની સંખ્યા મામલામાં સૌથી મોટી પાર્ટી ટીએમસી છે. તેની પાસે ૧૩ સાંસદો રહેલા છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના નવ, ટીઆરસીના છ, સીપીએમના પાંચ અને બસપના ચાર સભ્યો છે. કેજરીવાલની પાર્ટી એએપીના ત્રણ સાંસદો રહેલા છે.

(7:52 pm IST)