Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ ૮૦૦ કિલોની ભગવત્‌ ગીતા

ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે ભારતમાં લવાશે :20મીએ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

નવી દિલ્હી :ઇસ્કોન દ્વારા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં ૮૦૦ કિલો વજનની ભગવદ્‌ ગીતાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ગીતાને તૈયાર કરવામાં દોઢ કરોડના ખર્ચ અને અઢી વર્ષ લાગ્યા હતા. આ ગીતા ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે ભારતમાં લવાશે. ઇટલીમાં ૧૧મી નવેમ્બરે લાખો લોકોની વચ્ચે આ પુસ્તકનું અનાવરણ કરાયું હતું. આ ગીતા તૈયાર કરવામાં ૫૦થી વધુ લોકોની મહેનત કરી છે.

  ગીતા જયંતી નિમિત્તે દિલ્હીના ઈસ્કોન મંદિરમાં ૨૦ ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી મોટી ૮૦૦ કિલોની ભગવદ્‌ ગીતાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરશે. આ ભગવદ્‌ ગીતાને તૈયાર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જેમાં ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્‌ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્‌ ગીતાના પ્રચારને ૫૦ વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ગીતા તૈયાર કરાઈ છે.

 આ પુસ્તક તૈયાર કરવા માટેનો તમામ ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રોમાંથી એકત્રિત કરાયો હતો. આ પુસ્તકને ઈટાલીના મિલાનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ગીતામાં ૬૭૦ પેજ આપવામાં આવ્યા છે, જેનું કદ ૨.૮૪*૨.૦ મીટર છે. આ ગીતાને સિન્થેટિકના કાગળથી તૈયાર કરાઈ છે. આ ગીતા પર પ્લેટિનમ, સોનુ, અને ચાંદીનો ઉપયોગ કરાયો છે. આ ગીતાના પૃષ્ઠને પલટવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે

(8:50 am IST)