Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

શિવપાલ યાદવની રેલીમાં મુલાયમ પણ હાજર રહ્યા

જનઆક્રોશ રેલીમાં શક્તિ પ્રદર્શન

લખનૌ, તા. ૯ : સમાજવાદી પાર્ટીથી અલગ થઇને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહીયા) બનાવનાર દિગ્ગજ નેતા શિવપાલ યાદવે આજે ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌના રમાબાઈ આંબેડકર મેદાનમાં જનાક્રોશ રેલીનું આયોજન કર્યું હતું અને પોતાની તાકાતનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. શિવપાલની પાર્ટી તરફથી આયોજિત આ પ્રથમ રેલી હતી. સપાના સંયોજક મુલાયમસિંહ યાદવ પણ રેલીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. એટલું જ નહીં મુલાયમસિંહ યાદવની નાની પુત્રવધુ અર્પણા પણ મંચ ઉપર નજરે પડી હતી. તેઓએ જાહેરાત કરી હતી કે, શિવપાલ યાદવની સાથે ઉભા છે. અર્પણાની આ જાહેરાતને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. શિવપાલે સંકેતમાં સપાના વડા અખિલેશ યાદવ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નેતાજી અહીં બેઠા છે. ૪૦ વર્ષ તેમની સાથે કામ કર્યું છે. અમે તો નેતાજીની સાથે સમાજવાદી પાર્ટીમાં જ રહેવા ઇચ્છુક હતા. મુખ્યમંત્રી પદ પણ માંગ્યું ન હતું. નેતાજીએ જે કહ્યું તે કર્યું હતું. પરિવારમાં નાના હોય કે મોટા હોય તમામની વાત સંભળી છે. રજત જ્યંતિ ઉપર તેમણે કહ્યું હતું કે, તેમને કોઇપણ પદની જરૂર નથી. માત્ર સન્માનની જરૂર છે. નેતાજીના સન્માનની જરૂર છે.

 

 

(8:03 pm IST)