Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

કૃષિ લોનની માફીથી ઓછા ખેડૂતોને લાભ મળ્યો છે : ચંદ

લોન માફીની માંગ વચ્ચે નીતિ આયોગ સભ્યનો દાવો : ચાવીરૂપ કૃષિ રાજ્યોમાં ખેડૂત આંદોલન વચ્ચે દાવો થયો

નવીદિલ્હી, તા. ૯ : ખેડૂત લોન માફી માટેની માંગણી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે નીતિ આયોગના સભ્ય અને કૃષિ પોલિસી નિષ્ણાત રમેશ ચંદે કહ્યું છે કે, લોન માફીની તરફેણમાં તેઓ નથી. આનાથી ખુબ ઓછી સંખ્યામાં ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે. લોન માફીનો મુદ્દો ખેડૂતોને રાહત આપશે નહીં. તેમના કહેવા મુજબ દેશ હાલમાં લોન માફીને લઇને કરવામાં આવી રહેલી માંગ વચ્ચે સમર્થન સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આ મુદ્દાથી કોઇ વધારે ફાયદો થશે નહીં. લોન માફી માટેની માંગ યોગ્ય દેખાતી નથી. કારણ કે, આનાથી ખુબ ઓછા લોકોને ફાયદો થનાર છે. ઘણા રાજ્યોમાં ખેડૂતો દ્વારા લોન માફીના સમર્થનમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે. ખાંડ મિલો  દ્વારા દેવાની ચુકવણી અને પાક માટે ઉંચી કિંમતોને લઇને વિરોધ પ્રદર્શનનો દોર ચાલી રહ્યો છે. કેટલાક ગરીબ રાજ્યોમાં લોન માફીના લાભ હજુ પણ ૧૦થી ૧૫ ટકા ખેડૂતોને જ મળ્યા છે. સાથે સાથે આવા રાજ્યોમાં સંસ્થાકીય લોન પણ ખુબ ઓછા ખેડૂતોને મળી છે. ચંદે કહ્યું હતું કે, જુદી જુદી કૃષિ પેદાશો ઉપર લઘુત્તમ સમર્થન મૂલ્યમાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો નથી. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગ મુજબ આ વધારા કરવામાં આવ્યા નથી. સ્વામીનાથન કમિશનના અહેવાલને અમલી બનાવવાના મુદ્દે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આ કમિશનની મોટાભાગની ભલામણોને અમલી બનાવી દીધી છે. ચંદે એમ પણ કહ્યું હતું કે, સ્વામી નાથન કમિટિ દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે, એમએસપી ખર્ચની પરિભાષા કરતા ૫૦ ટકા વધારે રહે તે જરૂરી છે. સરકારે એ-૨ પ્લસ એફએલ નીતિ અપનાવી છે જેમાં શ્રમ પરિવારની કિંમત ઉપરાંત વાસ્તવિક ખર્ચ તથા ૫૦ ટકા વધારાનો સમાવેશ થાય છે. આનાથી ખેડૂતોને ઓછો લાભ મળી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એમએસપી વધારવાની માંગ કરતી વેળા ડિમાન્ડ અને સપ્લાયના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. સ્વામીનાથન કમિશનની ભલામણો પૈકી મોટાભાગની ભલામણો અમલી કરવામાં આવી છે. એમએસપીમાં હજુ પણ ધારણા પ્રમાણે સુધારો થયો નથી. એમએસપી સીટુના ખર્ચ કરતા દોઢ ગણો રહે તે જરૂરી છે. ખેડૂતોની આવકને વધારવાની જરૂર છે.

 

(8:03 pm IST)