Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

યુપીના નવ રેલવે સ્‍ટેશનને બોમ્‍બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો પત્ર મળ્‍યો

મેરઠ સહિત અનેક જિલ્લાના રેલવે સ્‍ટેશનોને ૨૬ નવેમ્‍બર અને ૬ ડિસેમ્‍બરે ધાર્મિક સ્‍થળો પર બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે

લખનૌ, તા.૧૦: ઉત્તર પ્રદેશના મેરઠના સિટી રેલવે સ્‍ટેશન પર ધમકીભર્યો પત્ર મંગળવારે બપોરે ૩:૩૦ વાગ્‍યે પહોંચ્‍યો હતો. આ પત્રમાં મેરઠ સહિત અનેક જિલ્લાના રેલવે સ્‍ટેશનોને ૨૬ નવેમ્‍બર અને ૬ ડિસેમ્‍બરે ધાર્મિક સ્‍થળો પર બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સંદર્ભે પોલીસ દ્વારા રેલ્‍વે સ્‍ટેશન પર સદ્યન ચેકિંગ હાથ ધરવામાં આવી છે
મેરઠ સિટી રેલ્‍વે સ્‍ટેશન સુપરિન્‍ટેન્‍ડેન્‍ટના નામે મોકલવામાં આવેલા આ પત્રમાં લખવામાં આવ્‍યું છે કે હું મારા જેહાદીઓના મોતનો બદલો ચોક્કસ લઈશ. ભગવાન મને માફ કરી દેજો, અમે ભારતનો નાશ કરીશું. ૨૬ નવેમ્‍બરે ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુઝફ્‌ફરનગર, અલીગઢ, ખુર્જા, કાનપુર, લખનૌ, શાહજહાપુર સહિત અનેક રેલવે સ્‍ટેશનો બોમ્‍બથી ઉડાવી દેવામાં આવશે. ૬ ડિસેમ્‍બરે અયોધ્‍યામાં હનુમાનગઢી, રામજન્‍મભૂમિ, અલ્‍હાબાદ, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્‌ફરનગર અને સહારનપુર સહિત યુપીના અનેક મંદિરોને બોમ્‍બથી ઉડાવી દેવામાં આવશે. જો કે આ પહેલા રેલવે સ્‍ટેશન પર ત્રણ ધમકીભર્યા પત્રો આવ્‍યા છે
આ પત્ર વાંચ્‍યા બાદ સ્‍ટેશન સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ આરપી સિંહે જીઆરપી પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. આ પછી, જીઆરપી અને આરપીએફએ બોમ્‍બ ડિસ્‍પોઝલની ટીમ સાથે રેલ્‍વે સ્‍ટેશન પર કોમ્‍પેક્‍શન ચેકિંગ અભિયાન હાથ ધર્યું. મંગળવારે બપોરે ડીઆરએમ ડિમી ગર્ગે રેલવે સ્‍ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. જીઆરપી પ્રભારી વિજય કાંત સત્‍યાર્થીએ કહ્યું કે સંવેદનશીલ મામલાને ધ્‍યાનમાં રાખીને સાંજે તમામ ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવ્‍યું છે. પ્‍લેટફોર્મ પર મેટલ ડિટેક્‍ટરની મદદથી મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી છે.

 

(11:41 am IST)