Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકારે રાજ્યના એડવોકેટ જનરલ અમર પ્રીત સિંહ દેઓલનું રાજીનામુ મંજૂર કર્યુ

નવજોત સિદ્ધુની સામે મુખ્‍યમંત્રી ચન્‍નીએ પોતાની હાર માની લીધી : DGP બદલવાની તૈયારી

ચંડીગઢઃ પંજાબની ચરણજીત સિંહ ચન્ની સરકારે રાજ્યના એડવોકેટ જનરલ અમર પ્રીત સિંહ દેઓલનું રાજીનામુ મંજૂર કરી લીધુ છે. એડવોકેટ જનરલના રાજીનામા બાદ ડીજીપીને બદલવાની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ દેઓલની નિમણૂંકનો ખુબ વિરોધ કર્યો હતો. ત્યારબાદ દેઓલે 1 નવેમ્બરે રાજીનામું આપી દીધુ હતું.

હવે રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. પંજાબ સરકારે 27 સપ્ટેમ્બરે દેઓલને રાજ્યના એડવોકેટ જનરલ બનાવ્યા હતા.

સરકારી નિમણૂંકને લઈને પંજાબ પીસીસી ચીફ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે શરૂઆતથી વિવાદ ચાલી રહ્યો છે. અનેકવાર સિદ્ધુ જાહેરમાં પ્રદેશ સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. આ વિવાદ કોંગ્રેસ પાર્ટી માટે માથાનો દુખાવો બન્યો છે. સિદ્ધુ પોતાની સરકાર અને પાર્ટીને નિશાના પર લેવાની કોઈ તક છોડતા નથી.

આ વચ્ચે સોમવારે પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ ચૌધરીએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે બેઠક કરી હતી. આ બેઠક ત્યારે બોલાવવામાં આવી જ્યારે થોડી કલાકો પહેલા 2015 કોટકપૂરા પોલીસ ફાયરિંગની ઘટનાની તપાસને લઈને સિદ્ધુએ પત્રકાર પરિષદ બોલાવી હતી અને પ્રદેશ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

સૂત્રો પ્રમાણે નવજોત સિંહ સિદ્ધુના નજીકના કેબિનેટ મંત્રી પરગટ સિંહ પણ બેઠકમાં હાજર હતા. માનવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન સિદ્ધુએ રાજ્યના એડવોકેટ જનરલ એપી એસ દેઓલ અને કાર્યવાહક પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઈકબાલ પ્રીત સિંહ સહોતાની નિમણૂકનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ દેઓલનું રાજીનામુ મંજૂર કરી લેવામાં આવ્યું છે. પંજાબ સરકાર એગ્રીકલ્ચર એક્ટ અંગે કેન્દ્રના BSFના કાર્યક્ષેત્રને વિસ્તારવા નોટિફિકેશનને રદ્દ કરવા માટે વિધાનસભાના વિશેષ સત્રમાં ઠરાવ લાવશે.

(12:00 am IST)