Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ૧૧ કરોડ આપવા નિર્ણય

હિન્દુ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત : અયોધ્યા રામ મંદિરના નિર્માણને લઈને અગાઉ પણ મોટી જાહેરાત કરી હતી : સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ પુનરોચ્ચાર

અમદાવાદ, તા.૯ : દેશના સૌથી જુના અને સૌથી સંવેદનશીલ એવા અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠના નિર્ણયને સંભળાવતા નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવી છે. જ્યારે અયોધ્યામાં જ કોઈ અન્યત્ર જગ્યાએ મસ્જિદ બનાવવા માટે ૫ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને મળશે. સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમકોર્ટના આ ઐતિહાસિક ચુકાદા બાદ અનેક રસપ્રદ અને ધાર્મિક આસ્થાની વાતો અને બાબતો પણ સામે આવી રહી છે. આવી જ એક વાત છે કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુરતના અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવ ઓમ મિશ્રા રૂ.૧૧ કરોડની માતબર રકમ દાનમાં અર્પણ કરશે.

            સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટમાં સભ્યોને પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. ત્રણ મહિનામાં ટ્રસ્ટ બન્યા બાદ વિવાદાસ્પદ જમીન અને અધિગ્રહિત જમીનના બાકી હિસ્સાને સોંપાશે. ત્યારબાદ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. નિર્મોહી અખાડાને ટ્રસ્ટમાં જગ્યા મળશે. ત્યારે સુરતમાં અખિલ અખિલ ભારતીય હિંદુ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવ ઓમ મિશ્રાએ અગાઉ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ મોટી જાહેરાત કરી હતી.  તેનો આજે પુનરોચ્ચા કર્યો હતો અને જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ માટે તેઓ ૧૧ કરોડ રૂપિયા આપશે. જ્યારે ત્રણ મહિના બાદ કમિટીની રચના કરવામાં આવ્યા બાદ તેઓ કમિટીને ૧૧ કરોડ રૂપિયા સુપરત કરશે. આમ, રામમંદિરને લઇ બહુ નોંધનીય અને પ્રખર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા એક પછી એક હવે સામે આવી રહ્યા છે. મિશ્રાએ સુપ્રીમકોર્ટના ચુકાદાને આવકારતાં તેને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવ્યો હતો.

(12:00 am IST)