Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

છત્તીસગઢમાં ૧ લાખ યુવાનને નોકરીનું કોંગ્રેસ પાર્ટીનું વચન

મતદાન પહેલા કોંગ્રેસનું ઘોષણાપત્ર જારી કરાયું: ખેડુતની લોન માફ કરવા અને વીજળી બિલ અડધુ કરવા અને મહિલા તથા યુવાનો માટે શ્રેણીબદ્ધ વચનો અપાયા

રાયપુર, તા. ૧૦: છત્તીસગઢમાં વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કા પહેલા કોંગ્રેસ પાર્ટીએ ચુંટણી ઢંઢેરો જારી કરી દીધો છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ અનેક લોકલક્ષી વચનો આપ્યા છે. ઘોષણાપત્રમાં કોંગ્રેસ પાર્ટીએ છત્તીસગઢ માટે ૩૬ લક્ષ્યનું વચન આપ્યું છે. ઘોષણાપત્ર ખેડુતો, યુવાનો, મહિલાઓ, એસસી અને એસટી માટે મોટા વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્રમાં જે મોટા વચન આપ્યા છે તેમાં યુવાનો માટે એક લાખ સરકારી નોકરીનું વચન આપ્યું છે. ૨૫૦૦ રૂપિયાના સ્ટાઈપેન્ડ પર રાજીવ મિત્ર યોજના હેઠળ ૧૦ લાખ યુવાનોને કામ આપવા જેવા વચનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતો માટે લોન માફી અને વીજળી બિલને અડધુ કરવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ મતદાન થાય તે પહેલા જ લોકોને પ્રભાવિત કરવાના હેતુસર આ અનેક વચનો આપીને મતદારોનું ધ્યાન ખેંચ્યું છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે જે ચુંટણી ઢંઢેરામાં વાત કરવામાં આવી છે તે વહેલીતકે પૂર્ણ કરવામાં આવશે. ચુંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો ખેડુતોની લોનને વહેલીતકે માફ કરવામાં આવશે. કર્ણાટકમાં જે રીતે ખેડુતોની લોન માફ કરવામાં આવી છે તેવી જ રીતે સરકાર બન્યા બાદ છત્તીસગઢમાં પણ સૌથી પહેલા ખેડુતો તરફ ધ્યાન આપીને તેમની લોન માફ કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી ફરી બેઠી થવા માટે પ્રયાસમાં છે. કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી ન બની હોવા છતાં જેડીએસની સાથે મળીને કોંગ્રેસ સરકાર બનાવામાં સફળ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે ભાજપ શાસિત ત્રણ રાજ્યો પર તેની નજર છે. કોંગ્રેસને ફાયદો એ છે કે આ ત્રણેય રાજ્યોમાં શાસન વિરોધી પરીબળ કોંગ્રેસની તરફેણમાં છે.

(8:53 pm IST)