Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અંકુશ રેખા પાર કરવા માટે ૧૬૦ ત્રાસવાદીઓ તૈયાર

દહેશતને ધ્યાનમાં લઇને હાઇ એલર્ટ જાહેર : પાકિસ્તાન વતી યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર વચ્ચે આંતકવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર થયા

જમ્મુ,તા. ૧૦: જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ અંકુશ રેખાની નજીક પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં સ્થિતીને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે ત્યારે આ પ્રકારના હેવાલ વધારે ચિંતા ઉપજાવે છે.  યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતીમાં લાભ ઉઠાવવા માટે ત્રાસવાદીઓ પણ તૈયાર છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અંકુશ રેખા પાર કરીને ૧૬૦ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. હિંસા અને હુમલાની સ્થિતીને ધ્યાનમાં લઇને હાઇ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. એલઓસી નજીકના વિસ્તારોમાં સેનાના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નગોટા સ્થિત વ્હાઇટ નાઇટ કોરના જર્નલ કમાન્ડિંગ ઓફિસરનો હોદ્દો સંભાળી રહેલા લેફ્ટી જનરલે કહ્યું છે કે, સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધિ એજ વખતે રોકાશે જ્યારે પાકિસ્તાન પોતાની નીતિને વધુ સ્પષ્ટ કરશે. પાકિસ્તાનના કબજાવાળા પોકમાં ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઇકની યોજનામાં સામેલ રહેલા અધિકારીએ કહ્યું છે કે, ભારતીય સેના પોતાની તૈયારી યથાવતરીતે જારી રાખી રહી છે. ઘુસણખોરોને ઠાર કરવામાં આવી રહ્યા છે પરંતુ પાકિસ્તાનને પણ યોગ્ય પગલા લેવા પડશે. જુદા જુદા વિસ્તારોમાંથી ૧૪૦થી ૧૬૦ ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસાડવાની યોજના ચાલી રહી છે. એલઓસી પર સૈનિકો માટે યુદ્ધવિરામની કોઇ સ્થિતિ નથી. સરહદ પારથી ગોળીબાર કરીને ભારતીય ચોકીઓને નુકસાન પહોંચાડવાની ગતિવિધિ જારી રહી છે પરંતુ ભારતીય સેના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કુંપવારામાં ગઇકાલે એક ત્રાસવાદીને ઠાર કરી દેવામાં આવ્યો હતો. ભારતે થોડાક વર્ષ પહેલા સર્જિકલ હુમલા અને આ વર્ષે ૨૦૧૯માં ફેબ્રુઆરીમાં બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હોવા છતાંં પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા યથાવત રીતે ચાલી રહ્યા છે. સેનાના ટોપ અધિકારીઓએ કહ્યુ છે કે સરહદ પારથી ત્રાસવાદી ગતિવિધી એ વખતે જ રોકાશે જ્યારે પાકિસ્તાન તેની આક્રમક નીતિને અમલી કરશે અને ત્રાસવાદીઓ સામે પગલા લેશે.  ત્રાસવાદીઓ સામે હાલમાં એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. કારણ કે ત્રાસવાદીઓ હવે કોઇ પણ કિંમતે તેમની હાજરી પુરવા કરવા માટે હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓ બહાર નિકળી રહ્યા છે. તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની કમર તુટી ગઇ છે. ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. જો કે સ્થાનિક કેટલાક કટ્ટરપંથીઓ અને સ્થાનિક લોકોના કારણે ત્રાસવાદીઓ તેમની વચ્ચે છુપાઇ જઇને કેટલાક હુમલા કરવામાં સફળ સાબિત થઇ રહ્યા છે.પથ્થરબાજો તેમને બચાવી રહ્યા છે. જો કે તેમની સામે પણ કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે. ઓપરેશન ઓલઆઉટના કારણે સેંકડો ત્રાસવાદીઓ માર્યા ગયા છે.(૯.૨૯)

ઘુસણખોરીની સાથે સાથે

*   અંકુશરેખા નજીકથી ૧૬૦થી વધુ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવા માટેની તૈયારીમાં

*   પોક તરફથી ત્રાસવાદીઓને સંપૂર્ણ ટેકો અપાઈ રહ્યો છે

*   ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઇક  હવે ફેબ્રુઆરી ૨૦૧૯માં  એર સ્ટ્રાઇક કરવામાં આવી હોવા છતાં ત્રાસવાદી માળખા અકબંધ રહ્યા છે. કારણ કે, પાકિસ્તાન દ્વારા ત્રાસવાદીઓ સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી

*   ભારતીય સેનાના કહેવા મુજબ પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લીરીતે ફરી રહ્યા છે તેમને સરકારનો પણ સાથ મળે છે

*   પાકિસ્તાન સરકાર દ્વારા હાફીઝ સઇદ સામે પણ કોઇ પગલા લેવામાં આવ્યા નથી

*   પાકિસ્તાનમાં નવી સરકાર આવ્યા બાદ પણ અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાનની સેનાએ ગોળીબાર જારી રાખ્યો છે

(3:22 pm IST)