Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કોંગ્રેસ પર શાબ્દિક હુમલો : કહ્યું - દેશમાં કેટલાક લોકો નકારાત્મક માનસિકતામાં ફસાયેલા

સરકાર વિરુદ્ધ જૂઠ પર જૂઠ બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. આ લોકો પણ હવે કાળા જાદૂ તરફ જવા લાગ્યા : મોદી

નવી દિલ્હી તા.10 :  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે હરિયાણાના પાનીપતમાં 900 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા બીજી પેઢી (2G) ના એથેનોલ પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. જે બાદ પ્રજાને સંબોધન કરતાં કોંગ્રેસ પર મોટો હુમલો કરતાં કહ્યું હતું કે - આપણા દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મક માનસિકતામાં ફસાયેલા છે, નિરાશામાં ડુબેલા છે.

તેમણે કહ્યું કે, સરકાર વિરુદ્ધ જૂઠ પર જૂઠ બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. આવી હતાશામાં આ લોકો પણ હવે કાળા જાદૂ તરફ જવા લાગ્યા છે.

તેમણે કહ્યું કે, આપણે હમણા 5 ઓગસ્ટે જોયુ કે કઈ રીતે કાળો જાદૂ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લોકો વિચારે છે કે કાળા કપડા પહેરી, તેની નિરાશા-હતાશાનો કાળ સમાપ્ત થઈ જશે. પરંતુ તેને ખ્યાલ નથી કે તે ગમે એટલો કાળો જાદૂ કરે, અંધવિશ્વાસ કરે, જનતાનો વિશ્વાસ તેના પર ફરી બની શકશે નહીં.

નોંધનીય છે કે કોંગ્રેસે પાંચ ઓગસ્ટે મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ કાળા કપડા પહેર્યાં હતા. દિલ્હીમાં સંસદની પાસે પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

પીએમ મોદીએ કહ્યુ- અમૃત મહોત્સવમાં આજે દેશ તિરંગાના રંગમાં રંગાયેલો છે, ત્યારે કંઈ એવું થયું છે જેના તરફ દેશનું ધ્યાન અપાવવા ઈચ્છુ છું. આપણા વીર સ્વતંત્રતા સેનાનીઓને અપમાનિત કરવાનો, આ પવિત્ર અવસરને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા લોકોની માનસિકતા દેશે પણ સમજવી જરૂરી છે.

પીએમ મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, જો રાજનીતિમાં સ્વાર્થ હશે તો ગમે તે આવીને પેટ્રોલ-ડીઝલ ફ્રી આપવાની જાહેરાત કરી શકે છે. આવા પગલા આપણા બાળકોના હક છીનવશે, દેશને આત્મનિર્ભર બનાવતો રોકશે. આવી સ્વાર્થભરી નીતિથી દેશના ઈમાનદાર ટેક્સ પેયર પર ભારણ વધશે.

(8:07 pm IST)