News of Wednesday, 10th August 2022
નવી દિલ્હી,તા. ૧૦ : દેવાધિદેવ ભગવાન શિવના ધામ સોમનાથમાં હવે ભક્તો માત્ર ૨૫ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞ કરાવી શકશે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા ભક્તો સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવેલી યજ્ઞશાળામાં ૨૫ રૂપિયામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકશે. યજ્ઞની સામગ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે અને સોમનાથ તીર્થના પૂજારીઓ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે આ યજ્ઞ કરાવશે.
સોમનાથમાં દર્શન કરવા આવનારા યાત્રિકોની સંખ્યામાં દિવસેને દિવસે થઈ રહેલા વધારાને જોતાં ત્રણેક વર્ષ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ૨૫ કરોડ રૂપિયાનો વિમો પણ ઉતારાયો હતો. સોમનાથમાં કોઈ અઘટિત ઘટના કે આકસ્મિક બનાવમાં યાત્રિકનું મોત થાય તો વારસદારને વળતર માટે તે માટે ટ્રસ્ટ દ્વારા આ વિમો ઉતારાયો છે. સોમનાથ ટ્રસ્ટ આ વિમાના પ્રીમિયમ તરીકે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીને વર્ષે સવા લાખ રૂપિયા ચૂકવે છે. વાહનોનો થર્ડ પાર્ટીનો વિમો હોય તે પ્રકારનો આ વિમો છે.
પૌરાણિક માન્યતા મુજબ, ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ઋષિને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. જયારે ઋષિના ઘરે પુત્રનો જન્મ થયો તો, જયોતિષીઓએ કહ્યું કે, તે માત્ર ૧૬ વર્ષ જ જીવશે. ઋષિએ આ પુત્રનું નામ માર્કંડેય રાખ્યું હતું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય હંમેશા શિવની ભક્તિમાં લીન રહેતા હતા. જયારે અંતિમ સમય નજીક આવ્યો ત્યારે ઋષિ મૃકંડુએ તેમના પુત્રને તેના ટૂંકા જીવન અંગે જણાવ્યું. તે પછી માર્કંડેય શિવ મંદિરમાં બેસીને મહામૃત્યુંજયનો જાપ કરવા લાગ્યા. જયારે યમદૂત તેમને લેવા આવ્યા ત્યારે તેમને શિવની ભક્તિમાં લીન જોઈ પાછા જતા રહ્યા. તે પછી જયારે યમરાજે માર્કંડેયના પ્રાણ હરવા માટે પાશ છોડ્યો તો માર્કંડેય શિવલિંગને ભેટી ગયા અને યમરાજનો પાશ શિવલિંગ પર પડ્યો. જેથી શિવ ગુસ્સે થયા અને માર્કંડેયને બચાવવા માટે પ્રગટ થયા. તે પછી જયારે યમરાજે વિધિના લેખની વાત કરી તો શિવજીએ માર્કંડેયને લાંબા આયુષ્યનું વરદાન આપી વિધિના લેખ બદલી નાખ્યા હતા. કહેવાય છે કે, ત્યારથી ભક્તો લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય યજ્ઞ કરાવે છે.
સોમનાથની ભૂમિ પર મહાદેવે ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્તિ આપી હોવાની લોકવાયકા છે. ભગવાન કૃષ્ણ પણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરી વૈંકુઠ ગયા હતા. ભગવાન પરશુરામે પણ આ ભૂમિ પર તપ કર્યું હતું. આમ, સોમનાથની ભૂમિ ઘણી પવિત્ર હોવાથી અહીં મહામૃત્યુંજય યજ્ઞ કરવાનું વિશેષ મહત્વ છે.