Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રાજકારણમાંથી અપરાધીઓએ બહાર જવું જ પડશે

ગંભીર કેસમાં ફસાયેલા વ્યકિતને ચૂંટણી લડતા રોકવા સાથે જોડાયેલી અરજીઓ પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી શરૃઃ રાજકારણમાં ગુનાખોરી ચિંતાનો વિષય : અમે કાયદો ઘડી ન શકીએ : કોર્ટ

નવી દિલ્હી તા. ૧૦ : ગુરૂવાર ગુનાઇત આક્ષેપોનો સામનો કરી રહેલા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ માગતી જાહેર અરજીની સુપ્રીમમાં સુનાવણી શરૂ થઈ હતી. સુપ્રીમે જણાવ્યું હતું કે ગુનાખોરી આપણા રાજકારણમાં પ્રવેશવી જોઈએ નહીં. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની બનેલી પાંચ જજની બેંચે અધિકારોની વહેંચણીની પ્રથાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે કોર્ટે લક્ષ્મણ રેખા ઓળંગવી જોઈએ નહીં અને સંસદના અધિકારોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. અમે કાયદો દર્શાવી શકીયે પણ કાયદો ઘડી ન શકીએ. કાયદો ઘડવાનું કામ સંસદનું છે.

એટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે આ મુદ્દો સંસદના અધિકારની છે અને જયાં સુધી આરોપી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ ગણાય. સુપ્રીમે પૂછયું હતું કે હત્યાનો આરોપી બંધારણને વળગી રહેશે તેવા શપથ લઇ શકે ખરો ? એટર્ની જનરલે જણાવ્યું હતું કે હત્યાનો આરોપી બંધારણને પાળે નહીં તેવું પણ માની શકાય નહીં. વળી દરેક આરોપીને વાજબી બચાવની તક અને ફેર ટ્રાયલ મેળવવાનો બંધારણીય અધિકાર છે.

કાયદો આ મુદ્દે મૌન છે એટલે કોર્ટે સિદ્ઘાંતો ઘડવા જોઈએ તેના જવાબમાં સુપ્રીમે જણાવ્યું હતું કે તે ચૂંટણી પંચને સલાહ આપશે કે આરોપના કયા તબક્કામાં પ્રતિબંધ લાદવો. એફઆઈઆર, ચાર્જશીટ કે આરોપો ઘડાયા તેમાં કયા તબક્કે તેની પર પ્રતિબંધ લાદવો આ બધું કોર્ટ કરી શકે નહીં. સંસદે કાયદો ઘડવો જોઈએ. વળી કોઇ પણ સાંસદ કે ધારાસભ્ય ગુનેગાર દોષિત ઠરે તો આપો આપ ગેરલાયક ઠરી શકે છે.

આજની સુનાવણીમાં એક રસપ્રદ ઘટના બની હતી, એટર્ની જનરલ વેણુગોપાલે અરજીનો વિરોધ કર્યો હતો જયારે તેમના પુત્ર અને વકીલ ક્રિષ્ના વેણુગોપાલે અરજીની તરફેણ કરતાં જણાવ્યું હતું કે સંસદમાં કાયદો નથી એટલે સુપ્રીમે આ મુદ્દે હસ્તક્ષેપ કરવો જોઈએ. રાજકારણમાંથી ગુનેગારોને હટાવવાની ફરજ અદા કરતી નથી તો સુપ્રીમે કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને માર્ગદર્શન આપી શકે કે તેઓ ગુનેગારોને ટિકીટ ન આપે અને આ મુદ્દે પક્ષના બંધારણમાં દાખલ કરે.

ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા અને વકીલ અશ્વની કુમાર ઉપાધ્યાયે ગુનેગારોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ માગતી અરજી કરી હતી. તેમણે સાંસદો સામે ચાલતા કેસની દરરોજ સુનાવણી કરવાની પણ માગ કરી હતી. સુપ્રીમે આ કેસની વધુ સુનાવણી ૧૪મી ઓગષ્ટે ઠેરવી હતી.(૨૧.૯)

(10:20 am IST)