Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કુમારસ્વામીના શપથ પર ૪૨ લાખ રૂપિયાનો જંગી ખર્ચ થયો

કેજરીવાલ પર ૧.૮૫ લાખ સુધીનો જંગી ખર્ચ : માત્ર ૭ મિનિટના શપથગ્રહણ ઉપર લાખો રૂપિયાનો ખર્ચ થયો : નાયડુ પર સૌથી વધુ ૮૭૨૪૨૫ રૂપિયાનો ખર્ચ

બેંગ્લોર, તા. ૯ : કર્ણાટકમાં કોંગ્રેસની સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવનાર જનતા દળ સેક્યુલરના નેતા એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેનાર નેતાઓના ખર્ચના સંદર્ભમાં જો જાણવામાં આવશે તો તમામના પગની નીચેની જમીન નિકળી શકે છે. એક દિવસના આ કાર્યક્રમમાં જનતાના આ સેવકો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનું બિલ બે લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આરટીઆઈ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ માહિતી મળી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, કર્ણાટક સરકારે ૪૨ લાખ રૂપિયાનો ખર્ચ સાત મિનિટના શપથગ્રહણ ઉપર કર્યો હતો. અરવિંદ કેજરીવાલે તાજ વેસ્ટએન્ડમાં ૨૩મી મેના દિવસે સવારે ૯.૪૯ વાગે એન્ટ્રી કરી હતી અને ૨૪મી મે સવારે ૫.૩૪ વાગે નિકળી ગયા હતા જે દિવસે તેઓ પહોંચ્યા હતા તે દિવસે રાત્રે ઇન રૂમ ડાઇનિંગ, ખાવાપીવા પર ૭૧.૨૫ રૂપિયા અને બેવરેજના ૫૦૦૦ રૂપિયાનું બિલ બન્યું હતું. બેંગ્લોરમાં મળેલા દસ્તાવેજો મુજબ આ અંગેની માહિતી મળી છે. ૧૩મી મે ૨૦૧૩ના દિવસે સિદ્ધારમૈયા અને ૧૭મી મે ૨૦૧૮ના દિવસે યેદીયુરપ્પાના શપથગ્રહણ દરમિયાન સરકારના મહેમાનોના રોકાવવા પર ખર્ચ ઉપાડ્યો ન હતો. કુમારસ્વામીના શપથગ્રહણમાં ૪૨ મોટા નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. સૌથી વધારે ખર્ચ ૮૭૨૪૮૫ રૂપિયા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ઉપર કરવામાં આવ્યો હતો. મહેમાન પર કરવામાં આવેલા આ પ્રકારના ખર્ચને લઇને રાજ્ય સરકારના પૂર્વલોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડે દ્વારા ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, સરકારને આ પ્રકારની બર્બાદીની તક આપવી જોઇએ નહીં. સરકાર કહે છે કે, વિકાસ માટે તેમની પાસે પૈસા નથી. કેજરીવાલના બચાવમાં હવે રાજ્યસરકારે પણ પ્રતિક્રિયા આપી છે.

(7:42 pm IST)