Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૪-૬ સપ્તાહમાં કોવૈક્સિનના ઉપયોગને મંજૂરી અપાશે

ભારત બાયોટેકની વેક્સિનની મંજૂરી પર નિર્ણય લેવાશે : ભારત બાયોટેક પોર્ટલ પર વેક્સિનનો ડેટા અપલોડ કરી રહ્યું છે જેની તપાસ કરી કોવૈક્સીનની સમીક્ષા થઈ રહી છે

નવી દિલ્હી, તા.૧૦ : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન  (ડબલ્યુએચઓ) જલદી ભારત બાયોટેકની કોવિડ-૧૯ વેક્સિન કોવૈક્સીન માટે ઇમરજન્સી મંજૂરી પર મહત્વનો નિર્ણય લેશે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું કે કોવૈક્સીનના ઉપયોગ માટે મંજૂરી આગામી ૪-૬ સપ્તાહમાં આપવામાં આવશે.

સીએસઈ દ્વારા શુક્રવારે આયોજીત વેબિનારમાં સ્વામીનાથને કહ્યું કે, ભારત બાયોટેક હવે પોર્ટલ પર વેક્સિનનો સંપૂર્ણ ડેટા અપલોડ કરી રહ્યું છે જેની તપાસ કરી ડબલ્યુએચઓ કોવૈક્સીનની સમીક્ષા કરી રહ્યું છે. ડબલ્યુએચઓ ના દિશાનિર્દેશો પ્રમાણે ઈયુએલ પ્રક્રિયા હેઠળ નવા કે લાયસન્સ વગરના ઉત્પાદકોને ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે જેથી સ્વાસ્થ્યને લઈને ઊભી થયેલી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકાય.  સ્વામીનાથનને જણાવ્યું ઈયુએલ માટે એક પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે અને વેક્સિનની મંજૂરી પ્રાપ્ત કરવા માટે કંપનીએ ત્રણ તબક્કાની ટ્રાયલના ડેટા રજૂ કરવાના હોય છે, જેની તપાસ ડબલ્યુએચઓ અંતર્ગત નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે. હાલમાં ડબલ્યુએચઓ તરફથી કોરોના વેક્સિન ફાઇઝર/બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો/સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાઝેનેકા એયૂ, જાનસ્સેન, મોડર્ના અને સિનોફાર્મને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

ડબલ્યુએચઓના વૈજ્ઞાનિકે તે પણ જણાવ્યું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ખુબ સંક્રામક છે. તેમણે કહ્યું- વેક્સિનના બે ડોઝ ડેલ્ટા વેરિએન્ટથી બચાવ માટે જરૂરી છે પરંતુ તેમ છતાં તમે સંક્રમિત થઈ શકો અને તેને ફેલાવી શકો છો. તેથી માસ્ક અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે તે કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો જે વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝની જરૂરીયાત પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે, હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી. વેક્સિનેશન અભિયાનને સંતોષકારક ગણાવતા તેમણે કહ્યું- વેક્સિન લેનારામાં ૮, ૧૦ કે ૧૨ મહિના સુધી ઇમ્યૂન રિસ્પોન્સ યથાવત જોવામાં આવ્યો છે.

(8:26 pm IST)