Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

NDRFમાં પીએમ કેર્સના નાણાં ટ્રાન્સફર ન કરી શકાય

મજૂરોની સહાયતા માટે ફંડનો ઉપયોગ કરવા રિટ : વ્યક્તિઓ કે સંસ્થાઓ તમામ પ્રકારના દાન પીએમ કેર્સ ફંડમાં નહીં પણ NDRFમાં જમા કરાવે તેવો આગ્રહ

નવી દિલ્હી,તા.૧૦ : કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પીએમ કેર્સ ફંડનો બચાવ કરતાં દલીલ કરી હતીકે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત કોઈ કાયદાકીય ફંડની ઉપસ્થિતિ માત્રથી સ્વૈચ્છિક દાનવાળા બીજા ફંડ ખોલવા ગેરકાયદેસર ન બની શકે. ઉપરાંત પીએમ કેર્સ ફંડમાં જમા ધનરાશિને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવા અંગેના સૂચનનો પણ કેન્દ્ર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન દ્વારા આ મામલે જે અરજી દાખલ કરાયેલી તેની સુનાવણી કરી હતી. પીઠે કેન્દ્રનું સોગંદનામુ રેકોર્ડ પર રાખ્યું હતું અને સોલિસિટર જનરલ તુષાર મેહતાને તેની કોપી એનજીઓ તરફથી લડી રહેલા વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીને આપવા નિર્દેશ આપ્યો હતો.

              અરજીના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે તે એનડીઆરએફમાં જમા ધનનો ઉપયોગ પ્રવાસી મજૂરોની સહાય માટે કરવા કેન્દ્ર સરકારને આદેશ આપે. સાથે જ વ્યક્તિઓ કે સંસ્થાઓ તમામ પ્રકારના દાન પીએમ કેર્સ ફંડમાં નહીં પણ એનડીઆરએફમાં જમા કરાવે તેવો આગ્રહ કર્યો હતો. કેન્દ્ર સરકારે આ મામલે પોતાના સોગંદનામામાં જણાવ્યું કે, 'વિવિધ પ્રકારના રાહત કાર્યો માટે અનેક ફંડ પહેલાં સ્થપાયા હતા અથવા તો હાલ સ્થાપિત થયા છે. પીએમ કેર્સ ફંડ પણ આવું જ એક ફંડ છે જેમાં સ્વૈચ્છિક યોગદાન આપવામાં આવે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદાની કલમ ૪૬ અંતર્ગત એનડીઆરએફ નામનું એક ફંડ છે. પરંતુ કોઈ કાયદાકીય ફંડની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક દાનની સુવિધા ઉપલબ્ધ કરાવતું હોય તેવું પીએમ કેર્સ ફંડ જેવું બીજું ફંડ બનાવવામાં કોઈ સમસ્યા નથી. ગૃહ મંત્રાલય દ્વારા ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટમાં કહેવાયું છે કે, જનહિત અરજીના માધ્યમથી કેન્દ્ર સરકારને પીએમ કેર્સ ફંડનું ધન એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ આપવામાં આવે તે અયોગ્ય આગ્રહ છે અને આર્ટિકલ ૩૨ને અનુરૂપ પણ નથી.

(7:24 pm IST)