Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સાયરસ મિસ્ત્રીને મોટો ઝટકોઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે તાતા સન્સ વિરૂદ્ધ સાઇરસ મિસ્ત્રીની અરજી રદ્દ કરી દીધી

નવી દિલ્હીઃ સાયરલ મિસ્ત્રીને તાતા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા બાદ તેને હટાવી દેવામાં આવતા આ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ તાતા સન્સ વિરૂદ્ધ સાઇરસ મિસ્ત્રીની અરજી રદ કરી દીધી છે. ટ્રિબ્યુનલે કહ્યું છે કે તાતા સન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સભ્યોને સાઇરસ મિસ્ત્રી પર ભરોસો નહોતો. સાઇરસ મિસ્ત્રીએ પોતે તેને તાતા સન્સના ચેરમેનપદથી હટાવવાના નિર્ણયને પડકારતી અરજી એનસીએલટીમાં દાખલ કરી હતી. જોકે હવે જે નિર્ણય આ્વ્યો છે એનાથી સાઇરસ મિસ્ત્રીને મોટો ઝટકો લાગ્યો છે. 

સાઇરસ મિસ્ત્રીને 30 વર્ષ માટે તાતા સન્સના ચેરમેને બનાવવામાં આ્વ્યા હતા. જોકે ચાર વર્ષ પછી જ તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે તાતા સન્સમાં 66 ટકાથી વધારે હિસ્સો ધરાવતા તાતા ટ્ર્સ્ટને કંપની તરફથી મળતા લાભ પર લાદવામાં આવેલા પ્રતિબંધ સાઇરસ મિસ્ત્રીની હકાલપટ્ટી માટે જવાબદાર એવું મજબૂત કારણ હતું. 

સાઇરસ મિસ્ત્રીની હકાલપટ્ટી પછી રતન તાતાએ વચગાળાના ચેરમેન તરીકે થોડા સમય માટે જવાબદારી સંભાળી. આખરે ટીસીએસના પ્રમુખ રહેલા એન. ચંદ્ર્શેખરને તાતા ગ્રૂપના ચેરમેન બનાવવામાં આવ્યા. 

એનસીએલટીનો આ નિર્ણય તાતા સન્સ અને સાઇરસ મિસ્ત્રી વચ્ચે 20 મહિના સુધી ચાલેલા કડવા કાનૂની જંગ પછી આવ્યો છે. સાઇરસ મિસ્ત્રી તરફથી ડિસેમ્બર, 2016માં દાખલ કરવામાં આવેલી અરજીમાં તાતા ગ્રૂપની ઓપરેટિંગ કંપનીઓમાં રતન તાતા અને તાતા ટ્રસ્ટના એન.એ. સુનાવાલાના હસ્તક્ષેપને કારણે તાતા સન્સ નબળી પડી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી તેમજ ખોટા નિર્ણયો લેવાયા હોવાના આરોપ મૂકાયા હતા. જોકે હજી પણ સાઇરસ મિસ્ત્રી નેશનલ કંપની લો અપેલિટ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે.

(5:41 pm IST)