Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનાને હરાવ્યા બાદ આ ૭ ટેસ્ટ જરૂર કરાવી લેજોઃ બેદરકારી દાખવવી ભારે પડી શકે છે

નવી દિલ્હી, તા.૧૦: ખતરનાક કોરોના વાયરસને હરાવી ચૂકેલા દર્દીઓ માટે હેલ્થ એકસપર્ટ્સે હાલમાં જ એક અલર્ટ જાહેર કરી છે. જેમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને જલદી રસી લગાવવાની અને પોસ્ટ રિકવરી ટેસ્ટ કરાવવાની સલાહ અપાઈ છે.

ડોકટર્સના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ માણસની ઈમ્યુન સિસ્ટમ અને શરીરના અનેક મહત્વપૂર્ણ અંગોને ભારે નુકસાન પહોંચાડે છે. જે બાદમાં મોટી પરેશાનીનું કારણ પણ બની શકે છે. આવામાં જો તમે પોસ્ટ રિકવરી ટેસ્ટ કરાવી લેશો તો તે જાણી શકાશે કે વાયરસે તમને કેટલું નુકસાન પહોંચાડ્યું છે અને તેની શું આડઅસર થઈ શકે છે. જેથી કરીને સમયસર સારવાર શરૂ કરીને દર્દીના જીવ બચાવી શકાય.

કોઈ પણ બીમારીથી રિકવર થયા બાદ આપણી બોડી એન્ટીબોડીઝ પ્રોડ્યૂસ કરે છે જે ભવિષ્યમાં આપણને તે સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. એન્ટીબોડીઝનું લેવલ આપણા શરીરમાં જેટલું વધુ હોય તેટલી ઈમ્યુન સિસ્ટમ વધુ સેફ રહે છે. સામાન્ય રીતે માણસનું શરીર એકથી બે અઠવાડિયામાં એન્ટીબોડીઝ તૈયાર કરી લે છે. આથી  હેલ્થ એકસપર્ટ્સ કોરોનાની રિકવરીના બે અઠવાડિયા બાદ જ igG એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

કમ્પલીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ (CBC Test) માણસના શરીરમાં વિભિન્ન પ્રકારના સેલ્સની તપાસ માટે કરાય છે. તેનાથી દર્દીને એ અંદાજો  આવે છે કે કોરોના સંક્રમણ વિરુદ્ઘ તેનું શરીર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. કોરોનાથી રિકવરી થયા બાદ લોકોએ આ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. જેથી કરીને તમારા રિસ્પોન્સ સિસ્ટમ અંગે જાણી શકાય.

ડોકટરોનું માનીએ તો કોરોના વાયરસ આપણઆ શરીરમાં ઈન્ફ્લેમેશન અને કલોટિંગની સમસ્યા પણ પેદા કરી શકે છે. આ જ કારણ છે કે કેટલાક દર્દીઓમાં બ્લડ ગ્લૂકોઝ અને બ્લડ પ્રેશર લેવલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવામાં જો તમને પહેલેથી જ ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ કે કાર્ડિયાક સંબંધિત કોઈ સમસ્યા હોય તો રિકવરી બાદ રૂટિન ટેસ્ટ જરૂર કરાવજો.

કોરોનાથી રિકવર થઈ ચૂકેલા દર્દીઓમાં જો બ્રેઈન ફોગ, એન્ઝાઈટી, કંપારી છૂટવી, અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે તો તેમને રિકવરીના એક અઠવાડિયા બાદ બ્રેઈન અને ન્યૂરોલોજિકલ ફંકશન ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. જો તમારા કોઈ જાણકારમાં આ પ્રકારના લક્ષણ જોવા મળે તો તરત ચેકઅપ કરાવો.

કોરોનાને લઈને કરાયેલા એક સ્ટડીમાં દાવો કરાયો છે કે રિકવરી દરમિયાન વિટામિન ડી સપ્લીમેન્ટેશન દર્દીઓ માટે ખુબ જરૂરી હોય છે. આથી શરીરમાં વિટામિન ડીની ઉણપથી બચવા માટે તેનો પણ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. જે ભવિષ્યમાં પણ તમને કોઈ બીમારીથી બચવામાં મદદ કરશે.

કોરોનાનો નવો સ્ટ્રેન સરળતાથી પકડમાં આવતો નથી. આથી ડોકટરો HRCT સ્કેન કરાવવાની સલાહ આપે છે. જો કે આ ટેસ્ટ દરેકે કરાવવાની જરૂર નથી. ડોકટરોના જણાવ્યા મુજબ જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ છે પરંતુ RT-PCR રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે, ફકત એવા લોકો જ ડોકટરોની સલાહ પર આ ટેસ્ટ કરાવે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એકસપર્ટ્સ જણાવે છે કે કોરોનાનો નવો વેરિએન્ટ આપણા શરીરમાં ખતરનાક ઈન્ફ્લેમેશનની સમસ્યાને ટ્રિગર કરે છે. જેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે. આવામાં જે દર્દીઓને છાતીમાં દુખાવાની ફરિયાદ હોય તો એકવાર જરૂરથી હાર્ટ ઈમેજ અને કાર્ડિયાક સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવે.

(12:43 pm IST)