Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નામદાર અને સગા સંબંધી અંગે લોકો જાણે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

હરિયાણા, હિમાચલ અને પંજાબમાં ચુંટણી પ્રચાર : દિલ્હીમાં નામદાર અને તેમના સગા સંબંધીઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાથે મળી ખેડુતોની જમીનો કબજે કરી લીધી

રોહતક, તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઝંઝાવતી ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ હરિયાણામાં રોહતક, હિમાચલપ્રદેશમાં મંડી અને પંજાબમાં હોશિયારપુર ખાતે ચુંટણી સભા યોજી હતી. તમામ જગ્યાઓએ મોદીએ સરકારની સિદ્ધિઓની સાથે સાથે વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. હરિયાણાના રોહતક ખાતે પ્રચાર દરમિયાન મોદીએ કહ્યું હતું કે નામદાર અને તેમના સગા સંબંધીઓએ શું કર્યું હતું તે દેશના લોકો જાણી ગયા છે. લોકસભા ચુંટણીને ધ્યાનમાં લઈને આઈઓસીના પ્રમુખ સામ પિત્રોડાના ૧૯૮૪ના રમખાણ અંગે આપવામાં આવેલા નિવેદનથી કોંગ્રેસની તકલીફ વધી ગઈ છે. મોદીએ આજે રોહતકમાં જનસભા દરમિયાન સામ પિત્રોડાના નામ ઉપર કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ ખેડુતોની જમીન સસ્તા ભાવે કબજે કરી લીધી હતી અને આ જમીન ઉપર ભ્રષ્ટાચારની ખેતી કરવામાં આવી હતી. રોબર્ટ વાઢેરાના નામનો ઉલ્લેખ કર્યા વગર આક્ષેપ કર્યા હતા. રોહતકમાં ચૂંટણી જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે દિલ્હીમાં જે કોંગ્રેસના નામદાર છે તેમના સગા સંબંધીઓ છે તેઓએ અહીંના પૂર્વ મુખ્યમંત્રીની સાથે મળીને કેટલીક રમત રમી હતી. કાયદા સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આ બાબતને દેશના લોકો જાણે છે. ખેડુતોની જમીનને ખૂબ સસ્તી રીતે ખરીદી લેવાઈ હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસમાં માત્ર એક પરિવારને આગળ વધારવા માટે સમર્થ રહેલા લોકોનું અપમાન કરવામાં આવે છે. તેમની ઓળખને ડાબી દેવામાં આવે છે. ભાખરા નાગલ બંધની વિચારધારા સર છોટુરામની હતી પરંતુ આની ક્રેડિટ ક્યારેય પણ કોંગ્રેસે તેમની આપી ન હતી. કોંગ્રેસના આવા કૃત્યોના લીધે જ દેશમાં એક પછી એક તકલીફ ઉભી થઈ હતી. તેમના કુકર્મોને લીધે ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી પાકિસ્તાનના ત્રાસવાદીઓ હુમલા કરતા રહ્યા હતા. કોંગ્રેસની કમજોર સરકાર રડતી રહી હતી. ચોકીદારે સત્તા સંભાળ્યા બાદ આ તમામ પ્રકારની સ્થિતિ બદલાઈ છે. હવે સરહદ ઉપર તૈનાત જવાનોના હાથ બાંધવામાં આવ્યા નથી. તેમને ખુલ્લી છુટ આપવામાં આવી છે. જ્યારે સમજોતા બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓને ભગાડી દેવામાં આવ્યા હતા અને નિર્દોષ લોકોને ફસાવી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાજ દરબારીઓએ તે વખતે જોરશોરથી હોબાળો મચાવ્યો હતો કે આ લોકો હિન્દુ આતંકવાદ છે. મોદીએ અન્યત્ર પણ ચુંટણી પ્રચારમાં આક્રમક રહીને પ્રહાર કર્યા હતા.

(7:38 pm IST)