Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કાશી વિશ્વનાથ કોરિડોરથી જ્ઞાનવાપી મસ્જીદને લઇને શા માટે ચિંતામાં છે કાશીનાં મુસ્લિમો

બાબરી મસ્જીદ જેવી ઘટનાની દહેશત

વારાણસી તા. ૧૦ : કાશી વિશ્વનાથ મંદિરથી લઈને ગંગા નદીના તટ સુધી બનનારા કોરિડોરથી એક તરફ વારાણસીના લોકો એ વાતથી ખુશ છે કે આનાથી ગંદકી ખત્મ થશે અને મંદિર જનારા લોકોને ફાયદો થશે. જયારે બીજી તરફ શહેરના મુસ્લિમોની વાત કરીએ તો તેમને મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચિંતા સતાવી રહી છે. વાત છે ૨૫ ઓકટોબર,૨૦૧૮ના એજાઝ મહોમ્મદ ઈસ્લાહી રાત્રે ૧૦ કલાકે જેવા મસ્જિદથી પરત ફર્યા કે તરત તેમને કોઈનો ફોન આવ્યો. ફોન રિસીવ કરતા જ સામેની તરફથી અવાજ આવ્યો કે, 'મસ્જિદમાં જે ચબૂતરો છે તે તોડી પાડવામાં આવી રહ્યો છે.'

ઈસ્લાહી તરત જ પાછા મસ્જિદ પહોંચ્યા હતા , જયાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી. જેમાંથી મોટા ભાગના મુસ્લિમ હતા. મંદિરના ગેટ નંબર ૪દ્ગક પાસે બનેલી જ્ઞાનવાપી મસ્જિદનો ચબૂતરો કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના નિર્માણ માટે તોડી પાડવામાં આવી રહ્યો હતો. ૧૭મી સદીની આ મસ્જિદની દેખરેખ રાખતા ૩૦ વર્ષીય ઈસ્લાહીએ જણાવ્યું કે તે સમયે ભીડનો ગુસ્સો જોઈને ચબૂતરાને તોડવાનું કામ બંધ કરાયું હતું અને જિલ્લા પ્રશાસને ફરી એકવાર તેને બનાવી દીધો હતો. જો કે તેને લઈને હજુ સુધી મુસ્લિમોની ચિંતા ખત્મ થઈ નથી. આ મસ્જિદ સુન્ની વકફ બોર્ડની સંપત્તિ છે.

જ્ઞાનવાપી મસ્જિદની એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્ય અને અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ (વારાણસી)ના જોઈન્ટ સેક્રેટરી એસ.એમ. યાસીને કહ્યું કે, 'બાબરી મસ્જિદ જેવી જ સ્થિતિ જ્ઞાનવાપી મસ્જિદની પણ થઈ શકે છે.' તેમણે કહ્યું કે, 'મને હજુ પણ તે નારો યાદ છે, જે ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ કાર સેવકોએ લગાવ્યા હતા. તે નારો હતો, અયોધ્યા તો માત્ર એક ઝલક છે, કાશી-મથુરા તો હજુ બાકી છે.'

જો કે જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે આ રીતે ડરની વાત નિરાધાર છે. વારાણસીના જિલ્લાધિકારી સુરેન્દ્ર સિંહે કહ્યું કે, 'બેરિકેડ્સની પાછળ મસ્જિદ પૂરી રીતે સુરક્ષિત છે. આગળ પણ સુરક્ષિત રહેશે અને તેને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય.' જો કે તેમણે તેમ પણ કહ્યું કે જે ચબૂતરાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે તે મસ્જિદ પરિસરનો ભાગ નથી. સુન્ની વકફ બોર્ડના કબ્જામાં છે, પરંતુ ધાર્મિક સ્થાન નથી.

તો પછી એવું કયુ કારણ છે કે કાશી વિશ્વનાથ પ્રોજેકટને લઈને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને આશંકા છે. તેનો જવાબ એ છે કે તેમને મંદિર અને મસ્જિદ તરફ જનારી સાંકડી ગલીઓને પહોળી કરવાને લઈને ચિંતા છે. યાસીને કહ્યું કે, 'અત્યારસુધી આ સાંકડી ગલીઓ દુકાનો અને ઘરોથી ઢંકાયેલી છે. જો તે હટાવી દેવામાં આવશે તો તે મંદિરોથી ઘેરાય જશે.' મસ્જિદના ઈમામ મુફતી અબ્દુલ બાતિન નોમાનીએ કહ્યું કે અમને કોરિડોર સમો કોઈ વાંધો નથી, પરંતુ જે રીતે કામ થઈ રહ્યું છે, તેને લઈને અમે ચિંતિત છીએ.

(10:03 am IST)