Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજીવ ગાંધીના બચાવમાં કોંગ્રેસની પૂર્ણ ટુકડી ઉતરી

રાજીવ ગાંધીના મામલે રાજકીય ઘમસાણની સ્થિતિ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે બોલવા માટે કોઈ મુદ્દા નથી : કોંગ્રેસનો દાવો

નવી દિલ્હી, તા. ૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર નૌકાસેનાના યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ પર રજા મનાવવાવાળા નિવેદન બાદ કોંગ્રેસે જોરદાર બચાવની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટીના અનેક લોકો બચાવના મૂડમાં આવી ગયા છે અને મોદી પર પ્રહાર કર્યા છે. રાજીવ ગાંધીનો જોરદાર બચાવ કરવામાં આવ્યો છે. પાર્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટનો ઉપયોગ રજા મનાવવા માટે નહી બલ્કે સત્તાવાર ઉદ્દેશ્ય માટે કર્યો હતો. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. મોદીના આક્ષેપો બાદ કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને મોદીના આક્ષેપોને અયોગ્ય ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદીને દહેશત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે ૩૦ વર્ષ બાદ મૃત વડાપ્રધાનના સંદર્ભમાં ટિપ્પણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત મુ્દ્દા પર માત્ર ઓફિસિયલી ટ્રીપ હોય છે. એક વર્તમાન વડાપ્રધાન ત્યાં જાય છે. તેમની સાથે જે જાય છે તેમની યાદી હોય છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે રાજીવ ગાંધી આમાં બિલકુલ નિર્દોષ છે. તેમની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસ થઈ રહ્યા છે. ખેડાએ કહ્યું હતું કે રાજીવ ગાંધીનો મુદ્દો મોદી ઉઠાવી રહ્યા છે કારણ કે મોદી પાસે મતદારોની સમક્ષ રજુ કરવા માટે તેમની સરકારની કોઈપણ સિદ્ધિઓ નથી. તેમણે કહ્યું હતું કે વાઈસ એડમિરલ વિનોદ પસરીચા પણ કહી ચુક્યા છે કે મોદીના આક્ષેપો ખોટા છે. ખેડાએ કહ્યું હતું કે મોદી દેશના એવા પ્રથમ વડાપ્રધાન છે જે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે મત માંગી રહ્યા છે. નોટબંધી, બેરોજગારી અને રાફેલ સોદાને લઈને મોદી ક્યારેય પણ ચર્ચા કરતા નથી. ખેડાએ કહ્યું હતું કે બિનજરૂરી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સરકારે સુપ્રિમ કોર્ટને કહી દીધુ છે કે રાફેલ સાથે જોડાયેલ દસ્તાવેજ ચોરી થઈ ગયા છે. મોદી આના માટે પણ રાજીવ ગાંધીને જવાબદાર ઠેરવી શકે છે. રાજીવ ગાંધીના સંદર્ભમાં નિવેદન બાદ જોરદાર રાજકીય ઘમાસણની સ્થિતિ જોવા મળી રહી છે

(8:46 am IST)