Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કોંગ્રેસના મનમાં દલિતો પ્રત્ કોઇ પ્રેમ નથી : મોદીનો દાવો

એસસી-એસટી મોરચાના કાર્યકરોને સંબોધન કર્યુ :બાબાસાહેબનું અપમાન કરવાની કોઇ તક કોંગ્રેસે છોડી ન હતી : કર્ણાટકમાં જીતવા બોગસ આઈડીનો ઉપયોગ

નવીદિલ્હી, તા. ૧૦ : કર્ણાટક ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક ભાજપના એસસી-એસટી-ઓબીસી અને સ્લમ મોરચાના કાર્યકરોને સંબોધન કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ દલિત અને ઓબીસી મતદાતાઓને પ્રભાવિત કરવાના પ્રયત્નો કર્યા હતા. નમો એપ મારફતે મોદીએ સંબોધન કર્યું હતું. મોદીએ દલિત ચિંતકોને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાવતા કહ્યું હતું કે, તેઓ ખુબ જ જવાબદારીપૂર્વક પડકાર ફેંકવા માંગે છે કે, બાબાસાહેબ માટે કોંગ્રેસે કોઇપણ કામ કરેલા હોય તો જાહેરમાં બતાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યા સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી હતી ત્યાં સુધી બાબાસાહેબને ભારતરત્ન આપવામાં આવ્યો ન હતો. કોંગ્રેસે ક્યારે પણ બાબાસાહેબનું સન્માન કર્યું ન હતું. જ્યારે ભાજપ ડોક્ટર આંબેડકરના સપનાને પૂર્ણ કરવાની દિશામાં છે. એનડીએ સરકારે એસસી-એસટી એક્ટને કઠોર બનાવ્યા છે. અપરાધોની યાદી ૨૨તી વધારીને ૪૭ કરવામાં આવી છે. મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ઓબીસી સમુદાયના મત ઇચ્છે છે પરંતુ ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપ્યો નથી. ઓબીસી પંચને બંધારણીય દરજ્જો મળે તેને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાજપના કાર્યકરો સાથે સંબોધન દરમિયાન મોદીએ દલિત અને ઓબીસી કાર્ડના બહારને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અહિંદા વોટ બેંકમાં ગાબડા પાડવાના પ્રયાસો કર્યા હતા. માઈનોરિટી, બેકવર્ડક્લાસ અને દલિતોને કન્નડમાં શોર્ટ ફોર્મમાં અહિંદા કહેવામાં આવે છે. સિદ્ધારમૈયાએ લિંગાયત કાર્ડ રમ્યા બાદ ભાજપ સરકાર ઉપર દબાણ વધી ગયું હતું. મોરચાના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ દિલ્હી આવે ત્યારે બાબાસાહેબ અને સરદાર પટેલના મેમોરિયલ ઉપર આવવાની જરૂર છે. અહીં પહોંચતા એક ધાર્મિક સ્થળની જેમ અનુભવ થશે. કોંગ્રેસના મનમાં દલિતો અને પછાતો પ્રત્યે કોઇ પ્રેમ નથી જ્યારે પણ તક મળી હતી ત્યારે કોંગ્રેસે બાબાસાહેબનું અપમાન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે બાબાસાહેબને હરાવવાના પ્રયાસો કર્યા હતા. કર્ણાટક ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસીયા હાલમાં બનાવટી વોટરઆઈડી કાર્ડ બનાવવાની શરૂઆત કરી દીધી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, તેમની સરકાર ઓબીસી સમુદાયના કલ્યાણ પ્રત્યે કટિબદ્ધ છે. બાળકોને થોડીક મદદ મળે તો દેશના વિકાસ માટે મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીએ ક્યારે પણ આ દિસામાં કોઇ પહેલ કરી  ન હતી. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં બાબાસાહેબની પ્રતિમા સ્થાપિત કરવા અને ભારતરત્ન આપવાના મામલામાં કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ખચકાટ અનુભવ કર્યો છે.

(7:26 pm IST)