Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

નેપાળની અભિનેત્રી મિનાક્ષી થાપાની હત્યા કરનાર અમિત જયસ્વાલ અને પ્રિતી સુરીનને દોષિત જાહેર કરતી મુંબઇ સેશન્સ કોર્ટ

મુંબઇઃ નેપાળની અભિનેત્રી મિનાક્ષી થાપાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવ્‍યા બાદ આ કેસમાં આરોપી અમિત જયસ્‍વાલ અને એની ગર્લફ્રેન્ડ પ્રિતી સુરીનને મુંબઇ સેશન કોર્ટે દોષિત કરાર આપ્યા. બંનેએ એક્ટ્રેસનું શિરચ્છેદ કર્યા બાદ અભિનેત્રીના ધડને પાણીના ટાકામાં અને એના માથાંને 108 કિમી દૂર ફેંકી આવ્યા હતા.

અમિતે 2012માં મિનાક્ષીનો સંપર્ક સાધ્યો હતો અને તેને કથિત રીતે ફિલ્મમાં કામ અપાવડાવવાની લાલચ આપી મુંબઇથી પહેલાં ગોરખપુર અને ત્યાંથી અલ્હાબાદ લઇ આવ્યો હતો. બાદમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડની સાથે મળીને મિનાક્ષીનું અપહરણ કરી લીધું હતું અને તેને છોડવાના બદલામાં મિનાક્ષીના પરિવાર પાસેથી 15 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ નેપાળી એક્ટ્રેસની મા માત્ર 60 હજાર રૂપિયાની જ વ્યવસ્થા કરી શક્યાં હતાં.

અપહરણ બાદ પોતાની ગર્લફ્રેન્ડની સાથે મળીને અમિતે મિનાક્ષીનું ગળું કાપી નાખ્યું હતું, જે બાદ તેનો મૃતદેહ અલ્હાબાદમાં બંધ એક શૌચાલયના ટાકામાં છૂપાવી દીધો હતો. જ્યારે એના માથાંને અલ્હાબાદથી 108 કિમી દૂર એક ચાલુ બસમાં ફેંકી દીધું હતું. ઘટના બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરતાં અમિત અને પ્રિતીનું નામ સામે આવ્યું હતું.

એક્ટ્રેસ મિનાક્ષી થાપા, અમિત અને પ્રિતીની મુલાકાત મધુર ભંડારકરની ફિલ્મહીરોઈનના સેટ પર થઇ હતી. કરીના કપૂર આ ફિલ્મમાં લીડ હીરોઈન હતી. હીરોઈનમાં મિનાક્ષીનો પણ મહત્વનો રોલ હતો. સેટ પર થયેલી મુલાકાત બાદ ત્રણેય સારા મિત્રો બની ગયા હતા. આ દરમિયાન અમિતે પોતાની ઓળખાણ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે આપી હતી.

પોલીસે પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો કે મિનાક્ષીએ ખુદ નેપાળા રાજ પરિવારની સભ્ય હોવાનું જણાવ્યું હતું, જેનાથી અમિતને લાગ્યું કે તે અપહરણ બાદ તગડી રકમ વસૂલી શકે છે, જ્યારે મિનાક્ષી થાપાના મમ્મી પૈસાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યાં ત્યારે અમિતે તેની હત્યા કરી મૂકી હતી.

નેપાળની વતની મિનાક્ષી થાપાના પિતા ઓએનજીસી દેહરાદૂનમાં જોબ કરતા હતા. મિનાક્ષીએ એવિએશનમાં જિપ્લોમા કર્યો હતો પરંતુ ડાન્સ પ્રત્યે વધુ લગાવ હોવાથી તે સેન્ટ જોસેફ એકેડમીમાં ડાન્સ ટીચર તરીકે નોકરી પણ કરી હતી.

ગુરુવારે ફરિયાદી અને બચાવ પક્ષ દ્વારા સજાને લઇને દલીલ થયા બાદ કોર્ટ દ્વારા બંને દોષિતોને સજા ફટકારવામા આવશે. ફરિયાદી પક્ષના વકીલ ઉજ્જૈન નિકમે કહ્યું કે પરિસ્થિતિજન્ય પૂરાવાના આધાર પર જ કેસ હતો. ટ્રાયલ દરમિયાન 36 સાક્ષીઓના નિવેદન લેવામા આવ્યાં હતાં.

(6:01 pm IST)