Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ટ્રેનમાં બેસવા-ઉતરવા જતા હાદસાની સ્થિતીમાં વળતર

હાદસાની સ્થિતીમાં રેલવેને વળતર આપવુ પડશે : ટ્રેનમાં બેસવા જતા તેમજ ઉતરવા જતા કોઇ ઘટના બને છે તો તે દુખદ ઘટના : રેલવેને સુપ્રીમ કોર્ટે હુકમ આપ્યો

નવી દિલ્હી,તા. ૧૦ : હવે ટ્રેનમાં બેસવા જતા અથવા તો ઉતરવા જતા ઘાયલ થઇ જવાની સ્થિતમાં રેલવે દ્વારા વળતર આપવામાં આવશે. રેલવેને સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુજબનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ તારણ આપતા કહ્યુ છે કે ટ્રેનમાંથી ઉતરતી વેળા અથવા તો બેસતી વેળા જો યાત્રીનુ મોત થઇ જાય છે અથવા તો તે ઘાયલ થઇ જાય છે તો તે એક અપ્રિય અને દુખદ ઘટના છે. આવી સ્થિતીમાં યાત્રી વળતર મેળવી લેવાનો અધિકાર ધરાવે છે. આ સ્થિતીને તેની લાપરવાહી તરીકે ગણી શકાય નહી. બીજી બાજુ કોર્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે માત્ર રેલવે સંકુલમાં કોઇ મૃતદેહ મળે છે અથવા તો ઘાયલ થઇ જાય છે તો તે નિર્ણય થઇ જશે નહી કે ઘાયલ અથવા તો મૃત્યુ પામેલી વ્યક્તિ વળતરના સંબંધમાં વાસ્તવિક અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે યાત્રીની પાસે ટિકિટ ન હોવાની સ્થિતીમાં તેને વળતર ન આપવાની બાબત યોગ્ય ગણી શકાય નહી. જસ્ટીસ આદર્શ કુમાર ગોયલ અને જસ્ટીસ રોહિંનટન એફ નરીમનની બેંચ દ્વારા આ અંગેનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. રેલવે એક્ટ ૧૯૮૯ની કલમ ૧૨૪ એ હેઠળ જો કોઇ યાત્રી ટ્રેનમાં આત્મહત્યા કરે છે અથવા તો આત્મહત્યા કરવા માટેના પ્રયાસો કરે છે તો તે યાત્રીની ભુલ ગણાશે અને તેના આ કૃત્યને અપરાધ તરીકે ગણવામાં આવશે. રેલવેના આ એક્ટની સામે દેશની કેટલીક હાઇકોર્ટે એકબીજાની સામે ચુકાદા આપ્યા છે.

દેશના જુદા જુદા રાજ્યોમાં કેટલીક હાઇકોર્ટે આવા યાત્રીઓને પણ વળતર મળે તેવી વાત કરી છે. બીજી બાજુ કેટલીક હાઇકોર્ટે વળતરની માંગને ફગાવી દીધી છે. કેટલીક હાઇકોર્ટે રેલવેની લાપરવાહી તરીકે આને ગણવાનો ઇન્કાર કર્યો છે. ટ્રેનમાં આત્મહત્યા કરવા અથવા તો આત્મહત્યા કરવાના પ્રયાસને અપરાધ તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. આ વિવાદ પર પૂર્ણ વિરામ મુકીને સુપ્રીમ કોર્ટે આવા યાત્રીઓને પણ વળતરનો અધિકાર છે તેવી વાત કરી છે.

(12:53 pm IST)