Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમેરિકામાં લાશોનાં ઢગલા

PM મોદીના આ પાંચ પગલાથી બચ્યું ભારત

કોરોનાને જે રીતે હંફાવી રહ્યું છે ભારત...જોઈને દુનિયા સ્તબ્ધ, આ ૫ પરિબળો છે ભારતની તાકાત

નવી દિલ્હી, તા.૧૦: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ભારત તરફથી કોરોનાના ચેપને રોકવા માટે જે પ્રકારે પગલાં લેવાઈ રહ્યાં છે તેના ખુબ વખાણ થઈ રહ્યાં છે. અહીં એક સવાલ એ પણ ઉઠે કે અમેરિકા જેવા સુપરપાવર દેશે જે કોરોના વાયરસ સામે ઘૂંટણિયા ટેકયા તેની સામે ભારત મજબુતાઈથી ઊભુ છું અને લડત લડી રહ્યું છે. એટલે સુધી કે ઓકસફોર્ડ યુનિવર્સિટીએ પણ કોરોના સામે ભારતની લડતના ખુબ વખાણ કર્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તો અગાઉ ભારતના વખાણ કરી ચૂકયુ છે અને કહ્યું હતું કે હવે કોરોના વાયરસને રોકવો એ ભારતના હાથમાં છે. હર્ષવર્ધન પોતે કહી ચૂકયા છે કે ભારતમાં હાલ સંક્રમણનો દર ખુબ ઓછો છે. તેમના જણાવ્યાં મુજબ પ્રતિ ૧૦ લાખમાં ફકત ૩.૮ ટકા કેસોમાં જ કોરોનાનો ચેપ છે.

કોરોના વાયરસ ચીનથી ફેલાવવાનો શરૂ થયો હતો અને હવે તેણે યુરોપ અને અમેરિકામાં તો કાળો કેર મચાવ્યો છે. સૌથી ખરાબ હાલાત અમેરિકામાં છે જયાં ૪.૬૫ લાખથી પણ વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જયારે ૧૬,૫૦૦ લોકોના મોત થઈ ચૂકયા છે. જયારે ભારતમાં સંક્રમણનો આંકડો ૬૦૦૦ પર પહોંચ્યો છે જયારે લગભગ ૧૯૯ લોકોના મોત થયા છે. ભારતમાં સંક્રમણ ઓછી હોવાના અને મોત હોવાના કારણ ભારત દ્વારા લેવાયેલા તે પગલા અને પ્લસપોઈન્ટ છે જેના કારણે ભારતને ફાયદો થઈ રહ્યો છે. આવો જાણીએ તે પાંચ કારણો કે પરિબળો જે કોરોના સામેની લડતમાં ભારતની તાકાત બન્યા છે.

દુનિયામાં ફેલાયો કોરોના, પણ ભારતને મળ્યો સમય

કોરોના વાયરસના મામલે સૌથી સારી વાત એ રહી  કે કોરોના વાયરસ ચીનથી ફેલાયો હતો, ભારતથી નહીં. ચીને તેને ઝડપથી કાબુમાં લેવા માટે તરત લોકડાઉન કરી દીધુ. ભારતે પણ તે જ સમયે વિદેશીઓ પર કડકાઈ કરી જેના કારણે વાયરસ ભારતમાં ઘૂસી શકયો નહીં. ચીનથી આ વાયરસ ફેલાયો અને યુરોપ તરફ આગળ વધી ગયો અને ત્યાં તબાહી મચાવી. આવામાં ભારતને આ વાયરસની ભયાનકતા સમજાવા અને તેને પહોંચી વળવા માટે પગલાં લેવાનો સમય મળી ગયો. ભારતે બરાબર તૈયારી કરી લીધી અને એટલે જ જયારે ભારતમાં વાયરસે આક્રમણ કર્યું તો ભારત તેને મજબુત લડત આપી રહ્યું છે. જયારે અમેરિકાને એમ લાગ્યું હતું કે ચીન તો તેની સરહદોથી ઘણું દૂર છે તો સંક્રમણ આટલી સરળતાથી પહોંચી શકશે નહીં અને ટ્રમ્પની બેદરકારીના કારણે આજે અમેરિકામાં તબાહી મચી છે.

ભારતમાં હજુ ગણ્યા ગાંઠ્યા કેસો સામે આવી રહ્યાં હતાં અને મોદી સરકારે લોકડાઉનનો નિર્ણય લઈ લીધો. બાકીના દેશોને આ જ સમય ઓળખવામાં તકલીફ પડી જેના કારણે હાલાત બદથી બદતર બની ગયાં. ભારતમાં પહેલેથી જ કડકાઈ, પછી લોકડાઉન અને હવે જરૂર પડ્યે અનેક વિસ્તારોને ચુસ્ત સીલ કરવાના પગલાં કોરોના વાયરસની ચેન તોડવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. આ બધુ એટલા માટે કરવામાં આવ્યું કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. જેના કારણે કોરોનાની ચેન તોડવામાં સફળતા મળે. અત્રે જણાવવાનું કે ૨૫ માર્ચથી ૨૧ દિવસનું લોકડાઉન ચાલુ છે. જે ૧૪ એપ્રિલના રોજ ખતમ થશે. કેટલાક રાજયો તો તેને આગળ વધારવાનો પ્રસ્તાવ પણ રજુ કરી ચૂકયા છે.

રિસર્ચથી ખબર પડી છે કે મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી હાઈડ્રોકસીકલોરોકવીન દવા કોરોના વાયરસના દર્દીઓ માટે મદદગાર સાબિત થઈ શકે છે. ભારતમાં તો દર્દીઓને અપાઈ પણ રહી છે. એટલે સુધી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને ફોન કરીને આ દવા માંગી હતી જેથી કરીને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલી આ મહામારીને કાબુમાં લાવી શકાય. ભારત માટે આ જ પ્લસપોઈન્ટ છે કે આપણા ત્યાં હાઈડ્રોકસીકલોરોકવીન દવાનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થાય છે. એટલે સુધી કે તેની નિકાસ પણ કરી શકીએ છીએ. હકીકતમાં ભારતમાં દર વર્ષે મેલેરિયાથી અનેક લોકોના જીવ જાય છે આથી અહીં હાઈડ્રોકસીકલોરોકવીનનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

ભલે કોરોના વાયરસ માટે કોઈ વેકિસન નથી પરંતુ કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલોમાં આઈસોલેટ કરવા અને જરૂર પડ્યે તેમને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ કરાવવા એ પણ સારવાર જેવું જ છે. તેનાથી દર્દીનો જીવ બચાવવામાં મદદ મળે છે અને આ સાથે જ તેના ચેપને ફેલાતો પણ અટકાવી શકાય છે. દિલ્હી સરકારે તો ડોકટરોની જે ટીમો બનાવી છે તેમણે અત્યારથી એવું પ્લાનિંગ કરી લીધુ છે કે જો રોજના ૧૦૦ કેસ પણ આવે તો શું કરશે. રોજ ૫૦૦ કેસ આવે તો શું કરવું અને મામલા વધીને રોજના ૧૦૦૦ કેસ આવે તો કઈ રીતે હેન્ડલ કરવું. હાલ તો  કેસ ઓછા છે અને ડોકટરો-હોસ્પિટલ વધુ. જેના કારણે આ વાયરસને હંફાવવામાં ભારતને કોઈ મુશ્કેલી પડી રહી નથી.

બીજા તબક્કામાં જ વાયરસને અટકાવવો જરૂરી હોય છે જે ભારત સમજી ગયુ

બાકીના દેશોને જોઈને ભારત સારી પેઠે સમજી ગયું હતું કે આ વાયરસને પહેલા તબક્કામાં જ રોકવાની કોશિશો શરૂ કરી દેવી પડશે અને બીજા તબક્કામાં લોકડાઉન જરૂરી રહેશે. નહીં તો ત્રીજા તબક્કામાં પહોંચ્યા બાદ વાયરસને અટકાવવો ભારે પડશે. અત્રે જણાવવાનું કે પહેલા તબક્કામાં વિદેશમાંથી આવતા લોકોમાં આ વાયરસના લક્ષણો દેખાતા હોય છે. બીજા તબક્કામાં તેમના સંપર્કમાં આવતા લોકોમાં કોરોના ફેલાય છે. જયારે ત્રીજા તબક્કામાં સમુદાયમાં ફેલાવવા લાગે છે. આવા જ કેટલાક વિસ્તારોમાં સંક્રમણ ઝોન જાહેર કરીને ત્યાં વાયરસની ચેન તોડવાની કોશિશ શરૂ થઈ ગઈ છે. જો આ રીતે ઝોન બનાવવામાં ન આવત તો આ વાયરસનું સંક્રમણ સમગ્ર દેશમાં પૂરપાટ ઝડપે ફેલાઈ જાત.

(3:47 pm IST)