Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

શ્રમ કાનૂની વિવાદાસ્પદ જોગવાઇઓ કોલ્ડ સ્ટોરેજમાં

છટણી અને એકમો બંધ કરવા મામલે વિરોધનો વંટોળ ઉઠતા

નવી દિલ્હી તા.૧૦ : કેન્દ્ર સરકારે વધુ કર્મચારીઓવાળા એકમોને સરકારની મંજુરી વગર ઘરે બેસાડી દેવા અથવા પોતાનુ કામકાજ સમેટી લેવાની પરવાનગી આપતા વિવાદાસ્પદ પ્રસ્તાવોને અભેરાઇએ ચડાવી દીધા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્રસ્તાવિત ઔદ્યોગિક સંબંધ સંહિતા વિધેયક ર૦૧૮ના બારામાં આ સપ્તાહે વિવિધ મંત્રાલયોને એક કેબીનેટ નોટો જારી કરી છે. આ વિધેયકને બજેટ સત્રમાં જ રજુ કરાશે.

મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે અમે છટણી અને એકમો બંધ કરવાની વર્તમાન જોગવાઇઓ સાથે છેડછાડ નહી કરવાનો નિર્ણય લીધો છે એટલુ જ નહી વળતર પેકેજને પણ સ્પર્શ નહી કરવાનો નિર્ણય લેવાયો છે. આ ખરડાની જોગવાઇઓ ઉપર ચર્ચા કરવા માટે નાણામંત્રી જેટલીએ શ્રમ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો.

કેન્દ્ર સરકારે પહેલા આ ખરડાના માધ્યમથી એવા એકમોને સરકારની મંજુરી વગર છટણી કરી દેવા કે કામકાજ સમેટવાની પરવાનગી આપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો કે જયાં કામદારોની સંખ્યા ૩૦૦ હોય. વર્તમાન જોગવાઇઓ અનુસાર જે એકમોમાં કામદારોની સંખ્યા ૧૦૦ હોય ત્યાં આવુ કરવાની પરવાનગી છે. ખરડામાં છટણી થયેલા કામદારોને ત્રણગણુ વળતર આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. કેન્દ્રીય શ્રમ સંગઠનોએ વર્તમાન જોગવાઇઓમાં કોઇપણ પ્રકારના ફેરફારો કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો તે પછી સરકારે આ વિવાદાસ્પદ પ્રસ્તાવોમાં પીછેહટ કરવાનો નિર્ણય લીધો છે.

(9:55 am IST)