Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

IPL-2022 માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને અંતે લીલીઝંડી

ફ્રેન્ચાઈઝીને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો : ફ્રેન્ચાઈઝીના કોચ તરીકે રવિ શાસ્ત્રી કે આશિષ નહેરાનું નામ ચર્ચામાં જ્યારે ટીમનો કેપ્ટન શ્રૈયસ ઐય્યર બની શકે

નવી દિલ્હી, તા.૧૦ : આઈપીએલ ૨૦૨૨ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને આખરે બીસીસીઆઈ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીસીસીઆઈ દ્વારા અમદાવાદ ફ્રેન્ચાઈઝીને લેટર ઓફ ઈન્ટેન્ટ આફી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સીવીસી કેપિટલ પાર્ટનર્સે ૫૬૨૫ કરોડની બોલી લગાવી અમદાવાદ ફ્રેન્ચાઈઝી હાંસલ કરી હતી. જો કે કંપનીના બેટિંગ ફર્મ સાથેના સંબંધોને કારણે બીસીસીઆઈ દ્રારા તેને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો હતો. જો કે હવે બીસીસીઆઈ તરફથી ક્લિયરન્સ મળી રહેવાં અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા નવા કોચ, મેન્ટર સહિત કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે છે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીના કોચ કોચ તરીકે રવિ શાસ્ત્રી કે આશિષ નહેરાનું નામ ચર્ચામાં છે. જ્યારે અમદાવાદ ટીમનો કેપ્ટન શ્રૈયસ ઐય્યર બની શકે છે.

આઈપીએેલ ૨૦૨૨ માટે બીસીસીઆઈ દ્વારા બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં લખનઉની ટીમ માટે આરપી-સંજીવ ગોયક્ના ગ્રૃપ દ્વારા ૭૦૯૦ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. અને અમદાવાદ ટીમ માટે સીવીસી કેપિટલ પાર્ટનર્સ દ્વારા ૫૬૨૫ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. જો કે, લખનઉ ફ્રેન્ચાઈઝીના માલિકને લઈને કોઈ વિવાદ હોવાથી બીસીસીઆઈ દ્વારા ગોયક્ના ગ્રૃપને તાત્કાલિક લેટર ઓફ ઈન્ટેન્ટ આપી દેવામાં આવ્યો હતો. જો કે, સીવીસી કેપિટલ પાર્ટનર્સના સટ્ટાબાજી કરતી કંપનીઓ સાથે સંબંધ હોવાના આરોપ હતા. જે બાદ બીસીસીઆઈ દ્વારા સીવીસી કેપિટલ પાર્ટનર્સને લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યો હતો. અને કારણે આઈપીએલ ઓક્શન તારીખ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. પણ બીસીસીઆઈ અને સીવીસી કેપિટલ વચ્ચે તમામ બાબતોના સ્પષ્ટીકરણ બાદ બીસીસીઆઈએ ફ્રેન્ચાઈઝીને લીલીઝંડી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ બીસીસીઆઈના સૂત્રોએ જાણકારી આપી હતી કે, અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા કોચ અને મેન્ટરની પસંદગી કરી દેવામાં આવી છે. અને આજે સામે આવી રહેલાં મીડિયા રિપોર્ટ્સમાં પણ તે નામો સામે આવી રહ્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીના ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે વિક્રમ સોલંકી હશે, જ્યારે કોચ પદે આશિષ નહેરા અથવા રવિ શાસ્ત્રીનું નામ બોલાઈ રહ્યું છે, તેમજ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે અને શ્રેયસ ઐય્યર ટીમનો કેપ્ટન બની શકે છે.

થોડા દિવસો અગાઉ બીસીસીઆઈના સૂત્રોએ જાણકારી આપી હતી કે, અમદાવાદ ફ્રેન્ચાઈઝી દ્વારા વિક્રમ સોલંકી, આશિષ નહેરા અને ગેરી કર્સ્ટનનું ઈન્ટરવ્યૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમદાવાદની આઈપીએલ ટીમ માટે ઈંગ્લેન્ડના ઓપનર વિક્રમ સોલંકી ટીમનો ડિરેક્ટર ઓફ ક્રિકેટ બની શકે છે. ઉપરાંત ભારતને વર્લ્ડ કપ અપાવનાર ભૂતપૂર્વ ભારતીય કોચ ગેરી કર્સ્ટન અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો મેન્ટર બની શકે છે.

તમને જણાવી દઈએ કે, આશિષ નહેરા અગાઉ આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેચ હતો, જ્યારે કસ્ટર્ન પણ અમુક સિઝન માટે જોડાયેલા હતા. ઉપરાંત આશિષ નહેરા અને કર્સ્ટન વચ્ચે કામ કરવાનો લાંબો અનુભવ છે, નહેરા જ્યારે ભારતીય ટીમનો ખેલાડી હતો, તે સમયે કર્સ્ટન ભારતીય ટીમના કોચ હતા. ઉપરાંત અગાઉ આઈપીએલમાં કોચ તરીકે કામ કરી ચૂકેલાં વિક્રમ સોલંકી સાથે પણ નહેરાનો કામ કરવાનો અનુભવ છે. ઉલ્લેખનીય છે કે, નહેરા છેલ્લી બે સિઝનથી કોચ પદેથી દૂર રહ્યો છે. તેણે નક્કી કર્યું હતું કે, જ્યાં સુધી હેડ કોચની જવાબદારી નહીં મળે ત્યાં સુધી તે અન્ય કોચિંગમાં જોડાશે નહીં. તેને આઈપીએલની ટીમો તરફથી ઓફર આપવામાં આવી હતી, પણ તેણે ઓફરોને નકારી કાઢી હતી.

(7:39 pm IST)