Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

માનવ બનશે 'મહામાનવ' ? ૧૩૦ વર્ષ સુધી જીવી શકશે

સદીના અંત સુધીમાં માનવીની મહત્તમ ઉંમર ૧૮૦ વર્ષ થઇ શકશે : નિષ્ણાંતો એ કર્યો દાવો : જો કે માણસની ઉંમર વધશે તેમ તેમ સમસ્યાઓની હારમાળા પણ ઉભી થશે

નવી દિલ્હી તા. ૧૦ : આજના યુગમાં માણસોની કામ પરથી રિટાયર થવાની ઉંમર ૬૦ વર્ષની હોય છે તો કેટલાક દેશોમાં તે ૬૫ વર્ષ છે અને માનવોનું સરેરાશ આયુષ્ય લગભગ ૮૦ વર્ષ છે. પણ નિષ્ણાંતોને કેટલીક એવી સાબિતિઓ મળી છે જેના આધારે દાવો કરવામાં આવ્યો છે કે આગામી ૮૦ વર્ષોમાં માનવોની સરેરાશ ઉંમર વધીને ૧૩૦ વર્ષ થઇ જશે. એટલે કે એક વ્યકિત ૧૩૦ વર્ષ સુધી જીવી શકશે.

નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, ૮૦ વર્ષમાં માણસ ૧૩૦ વર્ષની વય સુધી જીવીત રહી શકે છે. પણ કેનેડામાં એચઇસી મોન્ટ્રીયલના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આ સદીના અંત સુધીમાં એટલે કે ૨૧૦૦ની સાલ સુધીમાં માણસોનો જીવનકાળ ૧૮૦ વર્ષ સુધી પહોંચી શકે છે. આસીસ્ટન્ટ પ્રોફેસર લીયો બેલ્ઝાયલે દાવો કર્યો છે કે ૨૧૦૦ની સાલ સુધીમાં સૌથી વધુ ઉંમરના જીવિત વ્યકિતનો રેકોર્ડ તુટી શકે છે. વર્તમાન રેકોર્ડ એક ફ્રેંચ મહિલા જીન કેલમેન્ટનો છે, જેનું ૧૯૯૭માં ૧૨૨ વર્ષની વયે મોત થયું હતું. તો થોડા દિવસો પહેલા ચીનની એક મહિલાનું નિધન ૧૨૦ વર્ષથી વધારે વયે થયું હતું.

કેનેડાના વૈજ્ઞાનિકે માણસોની ઉંમરમાં થઇ રહેલા અપ્રત્યાશિત વધારા બાબતે ચેતવણી પણ જાહેર કરી છે અને કહ્યું કે માણસોની મહત્તમ ઉંમર જો વધશે તો તે બરાબર નહીં થાય. કેનેડીયન પ્રોફેસરે સ્ટેટેટીકસ અને તેના અનુપ્રયોગોની વાર્ષિક સમિક્ષામાં પ્રકાશિત એક પત્રમાં ચેતવણી આપી કે જીવનની વર્તમાન સીમાઓને આગળ વધારનારા મોટા ભાગના લોકો, સમાજ માટે મોટા પર વિપરીત અસર કરશે.

કેનેડીયન પ્રોફેસરે કહ્યું છે કે માણસોની વય જરૂરીયાત કરતા વધારે વધવાથી તેઓ કેટલાય પ્રકારની બિમારીઓથી પીડિત રહેશે અને તેઓ શારીરિક કષ્ટો સહન કરશે. આ ઉપરાંત તેમના મેડીકલ બીલ પણ તેમને અને તેમના પરિવારને બહુ પરેશાન કરશે. તો સામાજીક દેખભાળ, પેન્શન અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓ પર પણ તેની ઊંડી અસર પડશે. તેમણે કહ્યું કે, પહેલા જ સમાજમાં કરદાતાઓ બહુ ઓછા છે અને એવામાં માણસોની ઉંમર વધવાથી આ કરદાતાઓ પર વધુ દબાણ આવશે. હાલમાં ૧૧૦ વર્ષથી વધુ વય ધરાવતા એક ડઝનથી વધારે લોકો જીવિત હોવાની પુષ્ટિ થઇ ચૂકી છે.

દક્ષિણ કેલીફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર એલીન ક્રોમીન્સે 'ધ ટાઇમ્સ'ને જણાવ્યંુ કે, જો આવું થશે તો તમારા મેડીકલ બીલો આભને આંબશે. જો તમે ઘરના બુઝુર્ગને લાંબી વય સુધી જીવિત રાખવાના પ્રયત્નો કરશો અને તમારે તે કરવા જ પડશે તો તેમના ઘુંટણો, કુલા, કોર્નિયા અને હૃદયના વાલ્વ બદલવા માટે એક અવિશ્વનસીય ખર્ચ તમારે કરવો પડશે. તેમણે કહ્યું કે, આ બધું એવી રીતે થશેજેમ તમે એક જૂની કાર રાખી હોય અને તેનો કોઇને કોઇ પાર્ટ થોડા થોડા સમયે ખરાબ થઇ રહ્યો હોય.

૧૧૦ વર્ષથી વધારે વયના બુઝુર્ગો પર નજર રાખતી સંસ્થા લાઇફ એસ્પેકટંસીનું કહેવું છે કે ૧૧૦ વર્ષથી વધારે વય થયા પછી દર વર્ષે તેના મોતની શકયતા ૫૦ ટકા વધી જાય છે, પણ ધીમે ધીમે માણસોની ઉંમર વધતી જાય છે.

(10:22 am IST)